અન્ય દેશોને વેક્સિન આપવા બદલ ભારતની ભારે પ્રશંશા
જિનેવા: કોરોના વાયરસ સામેની જંગમાં ભારતની ભૂમિકાને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના ચીફ ટેડ્રોસ અધનો ગેબ્રેયસસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. પોતાના દેશના નાગરિકો સહિત વિશ્વના અન્ય ઘણા દેશોમાં કોરોનાની રસી પહોંચાડવા બદલ ટેડ્રોસે પીએમ મોદીની ખુબ પ્રશંસા કરી છે.
ડબ્લ્યુએચઓ વડાએ પીએમ મોદીને ટેગ કરતા એક ટ્વીટમાં લખ્યું, ‘રસી ઇક્વિટીને ટેકો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. કોવેક્સ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને ૬૦ કરતાં વધુ દેશો સાથે કોવિડ-૧૯ રસીના ડોઝ શેર કરવાથી તે સ્થાનોમાં કોરોના સામે લડવામાં મદદ મળી રહી છે. તે દેશોએ આરોગ્યસંભાળ કાર્યકરો અને અન્ય જૂથોને રસી આપવાનું શરૂ કર્યું છે. હું આશા રાખું છું કે બાકીનો દેશ પણ તમારા આ ઉદાહરણનું પાલન કરશે.
નોંધપાત્ર વાત એ છે કે ભારતે કોરોના વાયરસ સામેના યુદ્ધમાં એકતા દર્શાવતા વિશ્વના ઘણા દેશોમાં એન્ટી કોવિડ -૧૯ રસીના ૩૬૧.૯૧ લાખ ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ અનુસાર કોવિડ -૧૯ રસીના ૬૭.૫ લાખ ડોઝ વિવિધ દેશોને સબસિડી તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જ્યારે ૨૯૪.૪૪ લાખ ડોઝ વ્યાપારી પુરવઠા હેઠળ મોકલવામાં આવ્યા છે.
ભારત પાસે હાલમાં કોવેક્સિન અને કોવિશિલ્ડના રૂપમાં કોરોના સામે બે રસી છે. કોવેક્સિન ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા વિકસિત કરવામાં આવી છે. જ્યારે કોવિશિલ્ડ કોરોના વેક્સીન ઓક્સફર્ડ યુનિવર્સિટી-એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવવામાં આવી છે અને ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં તેનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.