અબોલ પશુઓની સેવા-સારવાર કરનાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટર્નરી ર્ડાકટરોને સલામ

ગૂંમડાના ઓપરેશન વગેરે મળી કુલ ૫૦ જેટલાં ઓપરેશન ગાય, ભેંસ જેવા મોટા પશુઓના લોકડાઉન દરમિયાન કરવામાં આવ્યા
(માહિતી બ્યુરો, પાલનપુર) કોરોના સંદર્ભે લોકડાઉન સમયે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટર્નરી ર્ડાકટરો દ્વારા મૂંગા અને અબોલ પશુઓની સેવા-સારવાર કરવામાં આવી રહી છે જેની લોકો પ્રશંસા કરી રહ્યા છે. લોકડાઉનની આવી વિપરીત પરિસ્થિતિમાં પણ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સતત કાર્યરત રહી બિમાર પશુઓના રોગ નિદાન અને ઉત્તમ સારવાર કરી પશુપાલકોની અને માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. લોકડાઉનમાં પશુસેવા કરનાર એનિમલ વોરીયર્સને પણ સલામ કરવી જ પડે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પશુપાલન કોલેજ ખાતે મર્યાદિત સ્ટાફ હોવા છતાં લોકડાઉનના પહેલાં દિવસથી જ પ્રથમ ત્રણ લોકડાઉન દરમિયાન ૫૦૦ થી વધુ બિમાર પશુઓની સેવા સુશ્રુષા કરવામાં આવી છે.
આ ઉપરાંત ઈમરજન્સી સારવારની જરૂર હોય એવા પશુઓ જેવા કે પ્રસવની પીડાથી પીડાતા પશુઓને પ્રસવ ના થવાના કારણે તાત્કાલિક સીજેરીયન ઓપરેશનથી બચ્ચાનો જન્મ કરાવી, માતા અને બચ્ચા બન્નેનો જીવ બચાવવો, શિંગડાના કેન્સરથી પીડાતા પશુમાં કમોડીનુ ઓપરેશન, ઉદરપટલ તુટવાના લીધે થયેલ શારણ ગાંઠનું ઓપરેશન, પશુના પેટમાં લોખંડ કે અન્ય વસ્તુ ગળી જવાના કારણે રૂમેનોટોમીનુ પેટનું ઓપરેશન, ફ્રેકચર, આંતરડાની આંટી, પશુઓના શરીરની અંદર તેમજ બહારના ભાગમાં થયેલ કેન્સરની ગાંઠ અથવા ગૂંમડાના ઓપરેશન વગેરે મળી કુલ ૫૦ જેટલા ઓપરેશન ગાય, ભેંસ જેવા મોટા પશુઓના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોલેજની હોસ્પિટલમાં કૃત્રિમ બિજદાન અને પશુઓમાં ગર્ભાધાનનુ નિદાનની સેવા પણ પૂરી પાડવામાં આવી છે. કૂતરા, બિલાડીઓની પણ સારવાર કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૪ મૃત પશુઓનુ પેથોલોજી વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરી નમૂનાઓ એકત્રિત કરી રોગનિદાનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પશુ દવાખાને લાવવામાં આવેલ બિમાર પશુઓ અને ક્ષેત્રિય કક્ષાએ પશુ ચિકિત્સકોને ચોક્કસ નિદાન કરી સારવારમાં મદદરૂપ થવા માટે વિવિધ નમૂનાઓ જેવા કે, લોહી, ઝાડા, પેશાબ, રક્તજળ (સીરમ) વગેરેનું કોલેજ ખાતેના પેથોલોજી વિભાગ, માઈક્રોબાયોલોજી વિભાગ અને પરોપજીવી વિભાગમાં પરીક્ષણ કરી રોગનિદાનની સુવિધા પૂરી પાડી પશુઓમાં થતાં મુખ્ય રોગો જેવા કે, આંચળનો રોગ, બ્રુસેલોસીસ, થાઈલેરીયોસીસ, બબેસીયોસીસ, એનાપ્લાજમોસીસ, અન્ય જીવાણુ જન્ય રોગોનું નિદાન પણ આ સમય દરમ્યાન કરવામાં આવ્યું છે.
આ માટે પેથોલોજી વિભાગ દ્વારા લોહીના ૧૦૫ નમૂના અને ૨ક્તજળ (સીરમ)ના ૧૬૮ નમૂનાઓ, માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા ૧૫ નમૂનાઓનું જીવાણુ સંવર્ધન કરી એન્ટિબાયોટીક સેન્સિટીવીટી ટેસ્ટનું પરીક્ષણ, ૪૮ ૨ક્તજળ (સીરમ)ના નમૂનાઓ ઉપરાંત ૨૪૦ નમૂનાઓનું પીસીઆર પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ બધી જ કામગીરી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ર્ડા.આર.કે.પટેલ અને કોલેજના ડીન અને આચાર્યશ્રી ર્ડા. ડી. વી. જોષીના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. વેટરનરી ર્ડાકટરોની સાથે તેઓ પણ આ માટે ખાસ અભિનંદનને પાત્ર છે.