અમદાવાદની જેતલપુર APMC સેનેટાઈઝ કરાઇ

અમદાવાદ શહેર ફરતા રીંગ રોડ પરની તમામ ચેકપોસ્ટ સેનીટાઈઝ કરાઈ- આવતા જતા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ તથા થર્મલ ગનથી ટેમ્પરેચરની ચકાસણી
કોરોના મહામારીને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં તમામ આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં નોવલ કોરોનાવાયરસના પોઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોરોના રોગનું સંક્રમણ વધે નહી તે માટે અમદાવાદ શહેરમાંથી ગામડાઓ તરફ આવન-જાવનને પ્રતિબંધિત કે નિયંત્રિત કરાઈ છે.
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ સંખ્યામાં વધારાને જોતા લોકડાઉન વચ્ચે તંત્ર દ્વારા જેતલપુર માર્કેટને 19 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન માર્કેટયાર્ડમાં ભીડ થતાં તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તંત્રએ જણાવ્યું કે યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુની સૂચનાથી જિલ્લા મેલેરીયા અધિકારી અને એમની ટીમ દ્વારા આજે સવારથી જ જિલ્લાના ગામડાઓમાં સેનીટાઈઝેશનની કામગીરી ચાલુ કરાઈ હતી. જેતલપુર એ.પી.એમ.સી.ને સવારે સંપૂર્ણપણે સેનેટાઇઝ કરવામાં આવી છે. નાના રૂમ અને અંદરની બાજુએ નાના મશીનોથી જ્યારે બહારની બાજુએ મોટા મશીનો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ૦૨ મોટા મશીનો છે અને ૦૫ નાના પંપ દ્વારા આ કામગીરી કરાઈ હતી. અમદાવાદ જિલ્લામાં ૦૫ પંપ, ૨ ફાઈટર અને ૦૨ ટ્રેકટર દ્વારા આ કામગીરી કરાય છે.
આ સાથે રીંગ રોડ ઉપર આજે ૦૮ ચેકપોસ્ટ બનાવેલ છે જેમાં અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. થર્મલગનથી શરીરના તાપમાનની ચકાસણી પછી વ્યક્તિને જવા દેવામાં આવે છે. જો વધું ટેમ્પરેચર માલુમ પડે તો તે લોકોને સીધા સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે. આ તમામ ચેકપોસ્ટને પણ સેનીટાઇઝ કરવામાં આવી છે.