Western Times News

Gujarati News

અમદાવાદ: સરખેજના રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત

અમદાવાદ, અમદાવાદમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. નોકરીધંધે જતા લોકોને વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં છે.

બીજી તરફ સરખેજ- ધોળકા રોડ પર ભારતી આશ્રમ પાસે નવા બનેલા અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું હતું, જેમાં એક યુવક ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની એક ટીમ રેસ્ક્યૂ માટે રવાના થઈ હતી. યુવકને બચાવવા માટે ટીમ પહોંચી હતી, પરંતુ તે ડૂબી ગયો હતો. યુવકની શોધખોળ કરી તેને બહાર કાઢ્યો હતો.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, યુવકની ઓળખ થઈ નથી અને તેનું ડૂબી જવાથી મોત થયું છે. હાલ તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે. વરસાદને કારણે AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે.

અમદાવાદમાં વરસાદ બંધ થયાના એક કલાક બાદ પણ અનેક વિસ્તારોમાં ભરાયેલાં પાણી હજી ઓસર્યાં નથી. સોલા સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયાં છે. જ્યારે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ વરસાદનાં પાણી ભરાઈ ગયાં છે. સોલા સિવિલમાં ઈલાજ માટે આવનારા દર્દીઓને પાણી ભરાઈ જવાને કારણે મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.