Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્રેઇનડેડ દર્દી ભૂપતસિંહરાવના લીવરનું પ્રત્યારોપણ કરાયુ

1200 બેડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી રહેલા ભૂપતસિંહના પત્નીએ હોસ્પિટલમાંથી પ્રત્યારોપણ માટે સમંતિ દર્શાવી માનવતાની મિસાલ ઉભી કરી

SOTTO અંતર્ગત કમીટીની રચના કરીને જરૂરિયાતમંદ દર્દીમાં અંગોનું પ્રત્યારોપણ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ભુપેન્દ્રસિંહ રાવ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. ગઇ કાલે તેઓ બ્રેઇનડેડ જાહેર થતા ભુપેન્દ્રસિંહ રાવના લીવરનું અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યુ હતુ.

ભુપેન્દ્રસિંહ રાવના પત્ની અગ્નેશ રાવ કોરોના સંક્રમિત હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમના પત્નીને પતિના મૃત્યુની જાણ થતા તેઓએ પતિના લીવરનું અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવા સમંતિ દર્શાવીને માનવતાની મિસાલ  ઉભી કરી છે.

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 2019 થી SOTTO (STATE ORGAN AND TISSUE  TRANSPLANT ORGANIZATION) કાર્યરત છે. સોટો અંતર્ગત આઇ.સી.યુ.માં સારવાર લઇ રહેલા બ્રેઇન ડેડ દર્દીના અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે.

તાજેતરમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા SOTTO અંતર્ગત સઘન કામગીરી થાય તે માટે કમીટી બનાવવામાં આવી છે. વધુમાં વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રત્યારોપણમાં સફળતા મળી છે.

SOTTO અંતર્ગત બ્રેઇન ડેડ દર્દીના કિડની, લીવર, હ્યદય ,સ્વાદુપિંડ , પેશીઓનું પ્રત્યારોપણના ડોનેશન શક્ય બનશે. યુવા દાતાઓના મૃત્યુ બાદ તેમના શરીરના અંગો થકી પાંચ થી છ વ્યક્તિને જીવતદાન આપી શકાય છે. જેના થકી અંગદાન મેળવી રહેલા વ્યક્તિની કાર્યદક્ષતા સુધરે છે. આની સાથે કોર્નિયાનું ચક્ષુદાન ,પેશીઓનું દાન કરી, ચામડીનુ દાન , બોન મેરો પ્રત્યારોપણ કરીને અન્ય વ્યક્તિની જીવનશૈલી સુઘારી શકાય છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદી કહે છે કે બ્રેઇન ડેડ દર્દીઓના અંગ અન્ય દર્દીઓના ઉપયોગમાં આવી શકે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષી શકાય તે હેતુથી અંગદાન કરવામાં આવે છે. જે માટે અમારી હોસ્પિટલમાં બ્રેઇનડેડ થયેલ દર્દીઓના સગાને અંગદાન પ્રત્યેની સચોટ માહિતી આપી સમજાવવામાં આવે છે. સરકારી દિશાનિર્દેશ પ્રમાણે GCS (Glasgow Coma Scale) સ્કોર પાંચ થી નીચે હોય તેવા દર્દીનો એપ્નીયા ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ સગાનું કાઉન્સેલિંગ કરીને અંગદાન કરવા માટે તૈયાર કરવામાં આવે છે.

SOTTO (STATE ORGAN AND TISSUE TRANSPLANT ORGANIZATION) ના રાજ્ય સ્તરના  કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી કહે છે કે SOTTO એ રાજ્ય સ્તરની સંસ્થા છે. કેન્દ્ર સરકાર દ્વારા 2014માં NOTTO (NATIONAL ORGAN AND TISSUE TRANSPLANT ORGANIZATION) કાર્યરત કરવામાં આવી છે જેનુ વડુમથક દિલ્હીમાં છે . જેના અંતર્ગત સમગ્ર ભારતભરમાં કુલ 13 SOTTO કાર્યરત કરવામાં આવી છે. અંગ પ્રત્યારોપણનું નામાંકન , જરૂરિયાત ધરાવતા દર્દીનું નામાંકનની સમગ્ર કામગીરી ઓનલાઇન થાય છે.

અંગદાતા અને અંગ ગ્રાહીની સંપૂર્ણ માહિતી ઓનલાઇન રજીસ્ટર દ્વારા નિભાવવામાં આવે છે. જેમાં બ્રેઇનડેડ દર્દીઓ થી લઇ અન્ય પ્રકારના દર્દીઓ કે જેમના અંગનું પ્રત્યારોપણ જરૂરિયાતમંદ દર્દીમાં થઇ શકતુ હોય તેવા દર્દીઓના સગાને સમજાવીને તેમની સમંતિ દ્વારા જરૂરિયાતમંદ દર્દીમાં વિવિધ અંગો, અવયવોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીને અંગદાન થકી કાર્યદક્ષતામાં વધારો થાય તે માટે SOTTOની રચના કરવામાં આવી છે. જે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.