Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં અંગદાનથી ૯ દર્દીને નવજીવન મળ્યું

૩ બ્રેઇનડેડ દર્દીઓના શરીરમાંથી કુલ ૬ કિડની, ૩ લિવર, ૧ સ્વાદુપિંડનું દાન મેળવાયું

અંગદાન કરનાર સ્વજનોનું આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરેના હસ્તે સન્માન કરાયું:-આ સન્માનપત્રથી અંગદાતાના સ્વજનોને પ્રત્યારોપણમાં પ્રાથમિકતા અપાશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની સંવેદનશીલ સરકારની “સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO)”અંતર્ગત એક જ અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શીવહરેની પ્રેરક ઉપસ્થિતિમાં અંગદાન કરનાર સ્વજનોનું ભાવભર્યુ સન્માન કરીને તેમના ઉમદા કાર્યને બિરદાવવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે આરોગ્ય કમિશ્નરશ્રીએ અંગદાતાના સ્વજનોને સન્માનપત્ર આપીને તેમના સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વની પ્રશંસા કરી હતી.

તેઓએ કહ્યું હતું કે, બ્રેઇન ડેડ દર્દીના સ્વજનો દ્વારા અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય સમાજ માટે ઉદાહરણરૂપ છે. અંગદાન કરનાર સ્વજનોના આવા ઉમદા કાર્યને બિરદાવવાની આપણી ફરજ બને છે.

આજે આપવામાં આવેલ સન્માનપત્રના કારણે બ્રેઇનડેડ અંગદાતાના સ્વજનોને અંગ પ્રત્યારોપણની જરૂર જણાશે ત્યારે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી જાહેરાત આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરે એ કરી હતી.

આપણા સમાજની એક ખાસિયત છે. ઘણી વખત અહીં ખુબ જ ગરીબ અને મધ્યમવર્ગીયપરિવારજનો પણ ખુબ મોટા કાર્યો કરી જાય છે. જે અન્યો માટે પ્રેરણારૂપ બની રહે છે. અંગદાન આવું જ એક મહાનકાર્ય છે.પૈસેટકે સુખી અને કહેવાતા સાક્ષર-શિક્ષિત લોકો જે નિર્ણય લેવામાં કેટલીક વખત ખચકાતા જોવા મળે છે

એ અંગદાનનું મહાન કાર્ય કરવામાં માલેતુજારોની તુલનાએ ગરીબ માણસો અવ્વલ રહ્યાં છે. આવા જ નાના લોકોના ત્રણ વિભિન્ન પરિવારોએ છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠીઊંચેરું કાર્ય કરીને સમાજને સાચો રાહ ચીંધ્યો છે.

મધ્ય પ્રદેશના રતલામના કલેક્ટરને ત્યાં રસોઇયા તરીકે કામ કરતા ભગીરથભાઈ પરમારના 20 વર્ષીય પુત્ર આકાશ પરમારને બ્રેઇનડેડ જાહેર કરાતા ભગીરથભાઈએ આકાશની બે કિડની, એક લિવર અને એક સ્વાદુપિંડનું મહાદાન કર્યું.

આકાશની એક કિડનીનું રાજકોટની ૧૧ વર્ષની દિકરીના શરીરમાં અને બીજી કિડનીનું બનાસકાંઠાની ૧૮ વર્ષની યુવતીના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે. જ્યારે ભૂજના એક ૫૦ વર્ષીય વ્યક્તિના શરીરમાં લિવરનું પ્રત્યારોપણ કરાયું છે. આમ આકાશના અંગોથી ત્રણ લોકોને નવજીવન પ્રાપ્ત થયું.

આવી જ રીતે જામનગરના વતની લખન દિનેશભાઈ પરમારનું બ્રેઇનડેડ જાહેર કરાતા તેમના સગાવ્હાલાઓએ પણ અંગદાનનો પથ અપનાવી પોતાના સ્વજનની યાદોને જીવંત બનાવવાનો નિર્ણય કર્યો. લખનભાઈની બે કિડની અને એક લિવરનું દાન કરાયું હતું. લખનભાઈની એક કિડનીનું ખેડાની ૧૨ વર્ષીય દિકરીના શરીરમાં અને બીજી કિડનીનું ભાવનગરના ૨૪ વર્ષીય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરાયું હતું. જ્યારે ગાંધીનગર સ્થિત ૪૦ વર્ષીય એક પુરુષ દર્દીના શરીરમાં લખનભાઈના લિવરનું પ્રત્યારોપણ કરાયું છે.

ત્રીજા કિસ્સામાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી જીવરામ રોતના આકસ્મિક નિધનના પગલે તેમના લિવરનું ભરૂચના એક ૫૧ વર્ષીય ભાઈના શરીરમાં, એક કિડનીનું અમરેલીના એક ૩૧ વર્ષીય બહેનના શરીરમાં અને બીજી કિડનીનું જૂનાગઢના એક 35 વર્ષીય બહેનના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે.

કહેવાય છે એક સ્વજન માટે પોતાના આત્મજનના અંગદાનનો નિર્ણય સ્વાભાવિક રીતે કઠીન હોય છે, એ પરિસ્થિતિ ખુબ અઘરી હોય છે. પણ આ પ્રકારના મક્કમ નિર્ણયથી જ માનવતાની મહાનતાનો આરંભ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, સિવિલ હોસ્પિટલની SOTTO ટીમ દ્વારા ૮૫ દિવસના ટૂંકા ગાળામાં બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન માટેની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. એક જ અઠવાડિયામાં થયેલ ૩ અંગદાન અને તેના થકી ૯ વ્યક્તિઓને મળેલું નવજીવન તેની પુષ્ટિ કરે છે. આગામી સમયમાં પણ સમાજમાં વધુમાં વધુ લોકો અંગદાન માટે આગળ આવીને અંગદાનની જરૂરિયાત ધરાવતા લોકોને નવજીવન બક્ષે  તેવી આશા ડૉ. મોદીએ વ્યક્ત કરી હતી.

જન્મ અને મૃત્યુ માણસના હાથની વાત નથી, પરંતુ જ્યારે આપણને ખબર હોય કે આપણું વ્હાલું સ્વજન હવે વધુ જીવી શકે તેમ નથી, ત્યારે જો સમજદારીપૂર્વક તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવે તો તેનાથી કોઇ જરૂરિયાતમંદને નવજીવન મળી શકે છે, કોઇનો કુટુંબનો માળો પિંખાતો બચી શકે છે. અંગદાનના માધ્યમથી આપણે જરૂરિયાતમંદ લોકોના શરીરમાં આપણા સ્વજનના અંગોને કાર્યરત્ જોઇને આપણું સ્વજન મૃત્યુ બાદ પણ જીવિત હોવાનો અહેસાસ અનુભવી શકીએ છીએ. અંગદાન એકમાત્ર એવો સાચો રસ્તો છે કે જે મૃત્યુ બાદ પણ માણસને જીવિત રાખે છે, અમર બનાવે છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના “સંકલ્પ સે સિધ્ધી”ના સુત્રને ચરિતાર્થ કરતી SOTTO(સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન)અંતર્ગતની આરોગ્ય વિભાગની આ કામગીરી રાજ્યની સંવદેનશીલ સરકારની પ્રતિતિ કરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.