અરવલ્લીના જીલ્લા સેવાસદનમાં મૉડર્ન જન સેવા કેન્દ્ર ખુલ્લુ મુકાયું

મોડાસા ખાતે આવેલ અરવલ્લી જીલ્લા સેવા સદનમાં અરજદારોને મદદરૂપ થવાના ઉમદા હેતુ થી લાખ્ખો રૂપિયાના ખર્ચે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવેલું છે, જોકે આ જન સેવા કેન્દ્ર ઉદ્ઘાટન ના અભાવે બંધ હતું જેનો અહેવાલ વિવિધ સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતા ગણતરીના જ દિવસોમાં મોડર્ન જન સેવા કેન્દ્રને જનતા માટે ખુલ્લુ મુકવામાં આવતા અરજદારોમાં ખુશી પ્રસરી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે મોર્ડન જનસેવા કેન્દ્ર અરજદારોની સુવિધા માટે બનાવવામાં આવ્યું હતું જે ગત જાન્યુઆરીની ૧૮ તારીખના રોજ ઉદ્ઘાટનની તમામ તૈયારી કરી દેવામાં આવી હતી અને નેતા પણ આવવાના હતા, પણ નેતા કોઈ અન્ય કાર્યક્રમમાં જતા રહેતા ઉદઘાટન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ જગત જમાદાર ટ્રમ્પના સ્વાગતમાં વહીવટી અને રાજકીય તંત્ર તૈનાત રહેતા વધુ જનસેવા કેન્દ્રના ઉદ્ઘાટનની કામગીરી ટલ્લે ચઢ્યું હતું. આખરે શુક્રવારે બપોરે પ્રભારી મંત્રી રમણ પાટકરના હસ્તે મોર્ડન જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી મોડાસા મામલતદાર અને વહીવટી તંત્ર ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
મોડાસા મામલતદાર કચેરી ખાતે અરજદારો માટે નવીન જનસેવા કેન્દ્ર લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડ માં સુધારા-વધારા સહિતની કામગીરી આ નવીન જનસેવા કેન્દ્રમાં કરવામાં ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે, એટલું જ નહીં અહીં અરજદારો માટે ઝેરોક્ષ મશીનની પણ સુવિધા છે. આ સાથે જ નોટરી કરવા માટે પણ અરજદારોને બહાર નહીં જવું પડે, તે પ્રકારની વ્યવસ્થા જનસેવા કેન્દ્રમાં કરાઈ છે. અહીં ખાસ ટોકન સિસ્ટમથી કામ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી અરજદારોએ લાઇનમાં ન ઉભુ રહેવું પડે અને સમયનો વેડફાટ પણ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે