આઇપીએલ બે સપ્તાહ માટે ટાળવામાં આવી, હવે ૧૫ એપ્રિલથી શરૂઆત થશે
નવીદિલ્હી, ઈન્ડિયન પ્રિમિયર લીગ કોરોના વાયરસ ના વધતા પ્રકોપને કારણે ટૂર્નામેન્ટને બે સપ્તાહ માટે ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ટૂર્નામેન્ટની ૧૩મી સીઝનની શરૂઆત ૧૫ એપ્રિલથી થશે. આઈપીએલ-૧૩ની શરૂઆત ૨૯ માર્ચથી મુંબઈમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ની વચ્ચેની મેચથી થવાની હતી.ભારત સરકાર તરફથી જાહેર એડવાઇઝરી બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી,બાર્ડ સચિવ જય શાહ અને ઈન્ડિયન પ્રિમિયર લીગના ઉચ્ચ અધિકારીઓએ આ ટૂર્નામેન્ટનો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડની રિલીઝ મુજબ, બીસીસીઆઈએ આઇપીએલ ૨૦૨૦ને ૧૫ એપ્રિલ સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે. આ પગલું કોરોના વાયરસના કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાને લઈ તકેદારીના ભાગ રૂપે ઉઠાવવામાં આવ્યું છે. બીસીસીઆઈ આ મુદ્દાને લઈ પોતાના હિતધારકો અને લોકોના સ્વાસ્થ્યને લઈ ચિંતિત છે. બીસીસીઆઈ આ મામલે સરકારની સાથે કામ કરી રહ્યું છે.
આ પહેલા, ઈન્ડિયન પ્રિમિયર લીગના આયોજનને લઈ શનિવાર ૧૪ માર્ચે આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની બેઠક થવાની હતી, જેમાં તમામ આઠેય ફ્રેન્ચાઈઝી માલિકોને પણ બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલાજ બીસીસીઆઈ દ્વારા લીગને લગભગ બે સપ્તાહ આગળ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરુવારે જ દિલ્હી સરકારે પણ ઈન્ડિયન પ્રિમિયર લીગની મેચો પર રોક લગાવી દીધી હતી. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આગામી આદેશ સુધી આઈપીએલ મેચો પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, કર્ણાટક સરકારે પણ આઈપીએલની મેજબાનીથી હાથ ખેંચી લીધા હશતા, જ્યારે મહારાષ્ટ્ર સરકારે ટિકિટ વેચાણ પર રોક લગાવી દીધી હતી.