આઇસીસી ચેરમેન પદ માટે સૌરવ ગાંગુલીની ગુજરાતી સાથે ટક્કર થશે

નવીદિલ્હી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના હાલના ચેરમેન ગ્રેગ બાર્કલે તેમના કાર્યકાળને આગળ વધારવા માંગતા નથી. તેઓ વર્ષ ૨૦૨૦ થી આઇસીસીના ચેરમેન છે. હવે આ પદ માટે સૌરવ ગાંગુલીની સામે એક ગુજરાતી મેદાનમાં છે. સૌરવ ગાંગુલી આ સમયે બીસીસીઆઇના અધ્યક્ષ છે.
‘ધ ટેલીગ્રાફ’ના રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌરવ ગાંગુલી અને જય શાહ બંને આઇસીસીના ચેરમેન બનવા ઇચ્છે છે.આઇસીસીના ચેરમેન માટે સૌરવ ગાંગુલી અને જય શાહ આમને-સામને થઈ શકે છે. જાે બંનેમાંથી કોઈપણ આઇસીસીના ચેરમેન બને છે તો તે પાંચમો ભારતીય હશે, જે આ પદને શુશોભિત કરશે. આઇસીસીના ચેરમેનનો કાર્યકાળ બે વર્ષનો હોય છે અને તેને છ વર્ષથી વધારે આગળ વધારી શકાય નહીં.
અત્યાર સુધી ચાર ભારતીય આઇસીસીના ચેરમેન બની ચૂક્યા છે. જગમોહન ડાલમિયા પહેલા ભારતીય હતા, જેઓ આ પદ સુધી પહોંચ્યા હતા. તેમનો કાર્યકાળ (૧૯૯૭-૨૦૦૦) સુધીનો હતો. શરદ પવાર (૨૦૧૦-૨૦૧૨), એન શ્રીનિવાસન (૨૦૧૪-૨૦૧૫) અને શશાંક મનોહર (૨૦૧૫-૨૦૨૦) આ પદ સંભાળી ચૂક્યા છે. આઇસીસીના હાલના ચેરમેન ગ્રેગ બાર્કલ તેમના કાર્યકાળને આગળ વધારવા માંગતા નથી.
ચેરમેન પદ માટે નવેમ્બર ૨૦૨૨ માં ચૂંટણી યોજાઈ શકે છે. ૨૦૨૩ વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થશે. તેથી પહેલા બીસીસીઆઇ ઇચ્છે છે કે આઇસીસીમાં પોતાનો દબદબો વધી જાય.
મોહમ્મદ અઝહરુદ્દીન બાદ સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. ત્યારબાદ તે ટીમ ઇન્ડિયાને નવી ઉંચાઈઓ સુધી લઈ ગયા હતા. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા વિદેશોમાં જીતવાનું શીખી, પરંતુ તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતને ૨૦૦૩ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો.
તેમણે ભારત માટે ૧૧૩ ટેસ્ટ મેચમાં ૭૨૧૨ રન અને ૩૧૧ વનડે મેચમાં ૧૧૩૬૩ રન બનાવ્યા. તેમણે ભારતીય ટીમને પોતના દમ પર ઘણી મેચ જીતાડી હતી. ત્યારે જય શાહ દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર છે અને બીસીસીઆઇમાં તેમની પાસે અત્યારે સચિવ પદ છે.HS