આઈએનએસ વિરાટ તમારાથી ન સચવાતું હોય તો અમને પરત આપો’, બ્રિટીશ ટ્રસ્ટ

નવી દિલ્હી, ભારત સરકારે વિમાનવાહક યુદ્ધજહાજ આઈએનએસ વિરાટને નિવૃત્ત કરી દીધા પછી તેને મ્યુઝિયમમાં ફેરવવા અંગે સંપૂર્ણપણે બેદરકારી દાખવી છે. 1987માં ભારતીય નૌકાદળમાં શામેલ થયેલું આઈએનએસ વિરાટ 2016 સુધી સક્રિય રહ્યું.પહેલા એ બ્રિટિશ નૌકાદળનો ભાગ હતું.
1959માં વિમાનવાહક જહાજ બ્રિટને પોતાના માટે બનાવ્યું હતું અને તેને એચએમએસ હર્મિસ નામ આપ્યું હતું. હવે આ જહાજ ભારતમાં ભંગાવવા જઈ રહ્યું છે, ત્યારે બ્રિટનના ‘હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટે’ તેને બચાવવા માટે પત્ર લખ્યો છે.
આ પત્રમાં લખ્યું છે કે જો જહાજને તમે સાચવી શકતા ન હો તો પછી અમને પરત આપી દો. આ પત્ર બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન અને ભારતના વડા પ્રધાન મોદી બન્નેને લખાયો છે.
આગામી 26મી જાન્યુઆરીએ ભારતના મહેમાન તરીકે બોરીસ જોન્સનને આમંત્રણ અપાયું છે. એ પહેલા જ આ મુદ્દો આંતરરાષ્ટ્રીય ચર્ચાએ પહોંચ્યો છે. ભારત સરકાર માટે આંતરરાષ્ટ્રીય શરમનો આ વધુ એક કિસ્સો છે. કેમ કે પત્ર દ્વારા એ પ્રસ્થાપિત થાય છે કે ભારત સરકાર ઐતિહાસિક યુદ્ધજહાજ સાચવવા સમક્ષ નથી અથવા તો સરકારને જહાજ સાચવવાનું મહત્ત્વ સમજાતું નથી.