આણંદ જિલ્લામાં અત્યારસુધીમાં ૩૯૬ પ્રવાસીઓનું સ્કેનીંગ કરવામાં આવ્યું

Files Photo
આણંદ : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી
શ્રી આશિષકુમારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
તા. ૧૯-૩-૨૦૨૦ના રોજ દૈનિક પત્રોમાં જિલ્લામાં કોરોના વાયરસના બે શંકાસ્પદ દર્દીઓ અંગેના અહેવાલ પ્રસિધ્ધ થયા હતા. તે અંગે સ્પષ્ટતા કરતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું કે, તા. ૧૯/૩/૨૦૨૦ના બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી.
તદ્અનુસાર જિલ્લામાં તા. ૧૮/૩/૨૦૨૦ની સ્થિતિએ કુલ-૩૨૫ પ્રવાસીઓનું સ્કેનીંગ કરવામાં આવ્યું હતું જયારે તા. ૧૯/૩/૨૦૨૦ના સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં બીજા ૭૧ પ્રવાસીઓનું સ્કેનીંગ કરવામાં આવતાં હાલ જિલ્લામાં ૩૯૬ પ્રવાસીઓનું સ્કેનીંગ કરવામાં આવ્યું છે જે પૈકી ૧૦૩ પ્રવાસીઓનું સ્કેનીંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જયારે ૨૯૩ પ્રવાસીઓ ઓર્બ્ઝવેશન હેઠળ છે. હાલ કોઇ પણ દર્દીને આઇસોલેસન વોર્ડ઼માં રાખવામાં આવેલ ન હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્યું છે.