આમોદ નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા ઉપરના દબાણો થોડા દિવસમાં દૂર કરાશે
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પાલિકાના મુખ્ય અધિકારી દિગ્વિજય પ્રજાપતિની બદલી થતા જંબુસર પાલિકાના મુખ્ય અધિકારીએ આમોદ નગરપાલિકાનો ચાર્જ આપવામાં આવ્યો છે.ત્યારે જેમ જંબુસરમાં પણ જાહેર રસ્તા ઉપરના કાચા પાક દબાણો દૂર કર્યા હતા તેમ આમોદ નગરમાં પણ દબાણો દૂર કરવામાં આવશે તેમ આમોદ પાલિકાના ઈન્ચાર્જ મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું.
આજ રોજ આમોદ પાલિકામાં આવેલા ઈન્ચાર્જ મુખ્ય અધિકારી વાય.જે.ગણાત્રાએ આમોદ નગરના વિસ્તારમાં આવેલા દબાણો બાબતે નિવેદન આપી જણાવ્યું હતું કે આમોદ નગરમાંથી પણ દબાણ હટાવવા માટે ઘણી બધી ફરિયાદો મળી છે.જે બાબતે આમોદ નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર સાથે સંકલન કરી ટાઈમ ટેબલ ગોઠવી આમોદના પણ જાહેર રસ્તા ઉપરના દબાણો દૂર કરવામાં આવશે.
આમોદ નગરમાં જાહેર રસ્તા ઉપર થયેલા દબાણો બાબતે અનેક ફરિયાદો મળતાં આમોદ પાલિકા પણ હવે હરકતમાં આવી છે.આમોદ નગરમાં દુકાનની હદ બહાર જાહેર રસ્તા ઉપર પતરાનાં તેમજ પાકા શેડ બનાવી દુકાનની બહાર માલ સામાન મુકવામાં આવતા અનેક રસ્તાઓ સાંકડા બની ગયા હતા.તેમજ જાહેર માર્ગની જગ્યામાં કેબિનો તેમજ ગલ્લાં મુકી દબાણ કરી અવરોધ ઉભો કરવામાં આવ્યા છે.જેથી
આમોદ પાલિકા હરકતમાં આવી નાના મોટાં તમામ દબાણો ચાર દિવસ પહેલા જ રીક્ષા ફેરવીને લોકોને સ્વેચ્છાએ જ દબાણો દૂર કરવા માટે તાકીદ કરી હતી.
અને જાે કોઈ સ્વૈચ્છિક દબાણો દૂર નહીં કરે તો પાલિકા દ્વારા જે તે ઈસમના ખર્ચે અને જાેખમે દૂર કરવામાં આવશે તેવું ફરમાન કરવામાં આવ્યું હતું.ત્યારે આમોદ પાલિકા વિસ્તારમાં આવેલ સ્ટેશન રોડ,તિલક મેદાન,વાવડી ફળિયા,આંબેડકર રોડ,ભીમપુરા રોડથી જી.ઈ.બી તરફ,આમોદ ચાર રસ્તાથી નવા ડેપો તરફ,મલ્લા તળાવ,આછોદ ચાર રસ્તાથી આછોદ તરફ તથા અન્ય વિસ્તારોમાં આવેલ તમામ દબાનકર્તાઓના દબાણ થોડા દિવસમાં દૂર કરવામાં આવશે.*