આર્યન માટે હવે પર્સનલ બૉડીગાર્ડ રાખવામાં આવશે: દીકરાને ‘મન્નત’થી દૂર રાખશે

File
મુંબઈ, શાહરુખ ખાન તથા ગૌરી ખાન દીકરા આર્યનની તબિયત તથા પ્રોટેક્શન અંગે ઘણાં જ સ્ટ્રિક્ટ થઈ ગયાં છે. ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ અને 28 દિવસ જેલમાં રહ્યા પછી શાહરુખ તથા ગૌરી ટેન્શનમાં રહ્યાં હતાં. દીકરો ઘરે આવ્યા બાદ તેમણે મોટો નિર્ણય લીધો છે.
ચર્ચા છે કે શાહરુખ તથા ગૌરી ખાને આર્યન માટે પર્સનલ બૉડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે. શાહરુખની સાથે જેમ બૉડીગાર્ડ રવિ પડછાયાની જેમ રહે છે, એ જ રીતે આર્યનની સાથે બૉડીગાર્ડ રહેશે.
સૂત્રોના મતે, શાહરુખ ખાન આ આખી ઘટનાથી ઘણો જ હચમચી ગયો છે. તે વિચારી રહ્યો છે કે જો આર્યનનો પોતાનો બૉડીગાર્ડ હોત તો કદાચ વાત આટલી વણસી ના હોત. રવિ જે રીતે શાહરુખનું ધ્યાન રાખે છે એ જ રીતે આર્યનનું પણ તે ધ્યાન રાખત, આથી જ શાહરુખ હવે દીકરા માટે જેમ બને તેમ જલદી બૉડીગાર્ડ રાખશે.
આ દરમિયાન એવી પણ ચર્ચા છે કે દિવાળી પછી આર્યન ખાનને મન્નતથી દૂર મોકલાશે. ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ આર્યન ખાને પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો છે. શરત પ્રમાણે, આર્યન મુંબઈ કે ભારત બહાર પરવાનગી વગર જઈ શકશે નહીં, આથી એમ માનવામાં આવે છે કે આર્યન અલીબાગ સ્થિત ફાર્મહાઉસમાં રહેશે.