Western Times News

Gujarati News

આવારા તત્ત્વોના આંતકથી યુવતિએ ધાબા પરથી પડતું મુક્યું

ચાંદલોડિયા બાદ ઘાટલોડિયા વિસ્તારમાં પણ બનેલો ચોંકાવનારો બનાવ :લગ્ન ન કરે તો સામુહિક દુષ્કર્મ અને હત્યાની ધમકી મળતાં ગભરાયેલી યુવતિએ ધાબા પરથી છલાંગ લગાવતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે એકબાજુ બેટી બચાવો આંદોલન ચાલી રહયુ છે ત્યારે બીજીબાજુ અમદાવાદ શહેરમાં યુવતિઓને પરેશાન કરતા રોમિયો તત્વોનો આંતક વધી રહયો છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા જ યુવતિનું ગળુ કાપી નાંખ્યુ હતું આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત શહેરભરમાં પડયા છે

હજુ આ ઘટનાની તપાસ ચાલુ છે ત્યાં જ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પણ આવી જ એક ઘટના ઘટી છે જેમાં આવારા તત્ત્વો દ્વારા એક યુવતિને પરેશાન કરવા ઉપરાંત તેના ભાવિ પતિને પણ વાંધાજનક મેસેજા મોકલી સગાઈ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એટલું જ નહી પરંતુ આ શખ્સે યુવતિના ઘરે પહોંચી જઈ લગ્ન નહી કરે તો તેના પર ગેંગરેપ કરવા ઉપરાંત હત્યા કરવાની ધમકી આપતા ગભરાઈ ગયેલી યુવતિએ ધાબા પરથી પડતું મુકતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે

આ ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. પ્રારંભમાં યુવતિએ પોતાના પરિવારજનોની ચિંતા અને લુખ્ખા તત્વોના ડરથી જાતે જ પડી ગયાનું નિવેદન આપ્યુ હતું પરંતુ આખરે હિંમત એકઠી કરી સમગ્ર હકીકત જણાવતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરીછે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા જ એક યુવતિનું સ્થાનિક યુવક દ્વારા ગળુ કાપી નાંખવામાં આવ્યું હતું અને હાલ આ યુવતિની હાલત ગંભીર છે આ ઘટનાની હજુ તપાસ ચાલુ છે ત્યાંજ ચાંદલોડિયાને અડીને આવેલા ઘાટલોડિયા વિસ્તારમાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના ઘટી છે.

ઘાટલોડિયાના ચાણકયપુરી વિસ્તારમાં સેકટર-૩ રામદેવ ચોકમાં રહેતા સની પ્રેમચંદ ફુલવારી નામનો યુવક તેના બે ભાઈઓ, એક બહેન અને માતા સાથે રહીને પરિવારનું ભરણપોષણ કરે છે સનીના પિતા દુબઈમાં નોકરી કરે છે સની ઘરે જ ચંપલ બનાવવાનું કામ કરે છે અને તેની સામે જ ફેશન કિંગ નામની દુકાન ધરાવતા કનુસિંહ ગડીયાને ત્યાંથી ચંપલ બનાવવા માટેનો કાચો માલ લાવતો હતો

જેના પરિણામે કનુસિંહ અવારનવાર સનીના ઘરે પણ આવ જા કરતો હતો. આ દરમિયાનમાં થોડા દિવસ પહેલા સનીની બહેન રેણુની સગાઈ થઈ હતી અને સમગ્ર પરિવાર ખુબ જ ખુશ હતો.

આ દરમિયાનમાં થોડા દિવસ પહેલા કનુસિંહ સનીના ઘરે આવ્યો હતો અને તારીબહેનની કેમ સગાઈ કરી તેમ કહી ધમકી આપવા લાગ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે જે છોકરા સાથે સગાઈ કરવામાં આવી છે તે છોકરાને પણ તેણે જણાવી દીધું છે કે આ યુવતિ મારી મંગેતર છે અને તેની સાથે મારા લગ્ન થવાના છે

આ ઉપરાંત કનુસિંહે યુવતિના પરિવારજનોને ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે જા તે મારી સાથે લગ્ન નહી કરે તો તેના ઉપર સામુહિક દુષ્કર્મ તથા હત્યા કરી નાંખવામાં આવશે આ ધમકીથી યુવતિ અને તેના પરિવારજનો ગભરાઈ ગયા હતા આ દરમિયાનમાં જ ગભરાઈ ગયેલી આ યુવતિએ ધાબા ઉપરથી પડતુ મુકી અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો.

ધાબા પરથી પડતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તેને ગંભીર હાલતમાં સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પ્રારંભમાં ગભરાયેલી આ યુવતિએ જાતે જ પડતું મુકયુ હોવાનું જણાવ્યું હતું પરંતુ થોડા સમય બાદ તેણે હિંમત કરીને ઉપરોકત માહિતી જણાવી હતી જેના પરિણામે પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં યુવતિએ સમગ્ર હકીકત જણાવતા તેના ભાઈ સનીએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.