આ કારણસર ગુજરાતથી મુંબઈ રેલ વ્યવહાર ૨૪ કલાકથી બંધ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/railtrack.jpg)
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, દેશની લાઈફલાઈન રેલવેનો મુંબઈ-ગુજરાત વચ્ચેનો રેલ વ્યવહાર છેલ્લા ૨૪ કલાકથી ખોરવાઇ ગયો છે. પાલઘરમાં યાર્ડમાં મંગળવારે સાંજે સ્ટીલ કોઇલ્સ લઇ જતી ગુડ્ઝ ટ્રેનના ગાર્ડ સહિતના ૭ વેગન પાટા પરથી ખડી પડતા સ્થિતિ સર્જાવા પામી છે. ગુડ્ઝ ટ્રેન ડીરેઇલ થતા જ રેલવે તંત્રે નંદુરબાર, ઉધના, બાંદ્રા અને વલસાડથી ટ્રેક રિસ્ટોરેશન માટે એક્સિડન્ટ રિલીફ ટ્રેનો તાબડતોબ રવાના કરી હતી.
બીજી તરફ યાત્રીઓની સુવિધા માટે સુરત, ઉધના અને વાપી સ્ટેશને હેલ્પ ડેસ્ક શરૂ કરી દેવાયા હતા. સુરતથી મુંબઈ જતા અપલાઈનના ટ્રેક તેમજ ઓવર હેડ લાઇનને ભારે નુકસાન થતા ગુજરાતથી મુંબઈ તરફ જતો ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો.
મંગળવાર સાંજથી જ રેલવે તંત્ર દ્વારા સુરત-મુંબઈ સેક્શન વચ્ચે લોકલ ટ્રેન તેમજ સુરતથી મુંબઈ જતી ટ્રેનોને ડાયવર્ટ, શોર્ટ ટર્મિનેટ, રદ, આંશિક રદ અને રિશિડ્યુલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ટ્રેક અને ઓવર હેડ લાઇનને ભારે નુકસાન સાથે પાટા પરથી ખડી પડેલા વેગન સાથે સ્ટીલ કોઇલ્સના રોલ હટાવવા ભારે ભરખમ મશીનરી તેમજ મેન પાવર યુદ્ધના ધોરણે કામે લગાડી દેવાયો હતો. બુધવારે સવારથી સાંજે ૪ વાગ્યા સુધીમાં પશ્ચિમ રેલવેએ ૯૪થી વધુ ટ્રેનો કેન્સલ, ડાયવર્ટ, શોર્ટ ટર્મિનેટ અને રિશિડ્યુલ કરતા દોઢ લાખથી વધુ મુસાફરો વેકેશન તેમજ ચાર ધામ યાત્રા વચ્ચે પ્રભાવિત થયા હતા.
અટવાઈ ગયેલા મુસાફરો માટે અંકલેશ્વર, સુરત, વાપી, વલસાડ, ઉધના સ્ટેશને પાણી, નાસ્તા અને બસની વ્યવસ્થા કરાઈ હતી. આ ઉપરાંત રિફંડ કાઉન્ટરો પણ ધમધમતા કરાયા હતા. અંકલેશ્વર સ્ટેશને બિકાનેરથી દાદર જતી ટ્રેનને ટૂંકાવી દઈ ૧૭૦૦ મુસાફરો માટે ૧૦ એસ.ટી. બસની વ્યવસ્થા કરાઈ હતી. આણંદ રેલવે સ્ટેશન પર બપોરે અમદાવાદ તરફથી આવતી બિકાનેર એક્સપ્રેસ ટ્રેનને અટકાવી દઈ રેલવે તંત્ર દ્વારા
ત્યાંથી મુસાફરોને ચાલુ રૂટ તથા એક્સ્ટ્રા ૨૪ બસ દ્વારા તેમના સ્થળોએ મોકલવાની વ્યવસ્થા કરાઇ હતી. જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા હતા અને તેમને બસ માર્ગે જવાની ફરજ પડી હતી. તમામ મુસાફરો માટે રેલવે તંત્ર દ્વારા રિફંડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.