Western Times News

Gujarati News

આ નર્સે ચર્ચમાં ખ્રિસ્તી લોકોને “ડોનેટ યોર સેલ્ફ” કેમ્પેઇનથી અંગદાન પ્રત્યેની જાગૃતી લાવવાના પ્રયત્નો કર્યા

I.C.U. કેર માટે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની “ટીમ 90” રાઉન્ડ ધ ક્લોક ફરજરત

બ્રેઇનડેડ દર્દીના શરીરના તમામ માપદંડો અને સપોર્ટ સિસ્ટમને લાઇવ રાખવું ખૂબ જ જરૂરી બની રહે છે જે કાર્ય આઇ.સી.યુ. નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.

વિશ્વ નર્સિસ ડે :- સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં સહાયક તરીકે ચાવીરૂપ ભૂમિકા અદા કરતા નર્સિગ સ્ટાફ

આજે 12 મી મે એટલે “વિશ્વ નર્સિસ ડે”. નર્સિસ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની મહત્વની કામગીરી આપ સમક્ષ મૂકવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના મહાયજ્ઞમાં 60 વ્યક્તિઓના અંગદાન થકી 163 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. આ સફળતા પાછળ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ, તબીબો, ,કાઉન્સેલર્સ, સિક્યુરીટી ગાર્ડ અને નર્સિંગ સ્ટાફની મહેનત જોડાયેલી છે.

સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ખાસ કરીને અંગદાનના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો આઇ.સી.યુ. કેર અને ઓપરેશન થીયેટરમાં ફરજરત નર્સિંગ સ્ટાફ અંગદાન માટે બેકબોન બનીને કાર્ય કરી રહ્યું છે.

આઇ.સી.યુ. કેર માટે “ટીમ 90” એટલે કે 90 નર્સિંગ સ્ટાફ ઇમરજન્સી કેર માટે દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરે છે.
ખાસ કરીને દર્દી જ્યારે ગંભીર હાલતમાં હોય અને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે ત્યારે તેને સી.પી.આર. આપવું, ઇમરજન્સી ડ્રગ્સ આપવા, જરૂરિ વાઇટ્સ દર કલાકે મોનીટર કરવાની કામગીરી આ મિત્રો કરે છે.

હોસ્પિટલમાં દાખલ દર્દીની કલાકે કલાકની રજે રજ ની માહિતી – ડેટા નોંધવાનું કાર્ય પણ નર્સિંસ કરતા હોય છે.
આઇ.સી.યુ. કેરમાં આવા જ એક 29 વર્ષીય નર્સ તન્વીબેન કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી આઇ.સી.યુ. કેરમાં સેવારત છે જણાવે છે કે, બ્રેઇનડેડ દર્દીને આઇ.સી.યુ. માંથી ઓપરેશન થીયેટર સુધી પહોંચાડવા સુધીની કામગીરી ઘણી મહત્વની હોય છે.
બ્રેઇનડેડ દર્દીના શરીરના તમામ માપદંડો અને સપોર્ટ સિસ્ટમને લાઇવ રાખવું ખૂબ જ જરૂરી બની રહે છે જે કાર્ય આઇ.સી.યુ. નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.

બ્રેઇનડેડ દર્દી ઓપરેશન થીયેટરમાં પહોંચી જાય ત્યારે ઓપરશન થીયેટરમાં અલગ નર્સિંગ સ્ટાફ હોય છે જે સર્જરીને લગતી કામગીરીમા સહાયકની ભૂમિકા અદા કરે છે.

આવા જ અન્ય એક નર્સ કે જેઓએ સ્વને ભૂલીને સમષ્ટિ માટે કાર્ય કરવાને પ્રાથમિકતા આપીને અંગદાન માટેના રીટ્રાઇવલ સેન્ટરમાં સહર્ષ ડ્યુટી સ્વીકારી. આ ફરજને નૌકરી માટે નહીં પરંતુ સમાજમાં લોકઉપયોગી બનવાના ઉદ્દેશ સાથે ફરજ અદા કરીને મિસાલ કાયમ કરી છે. આ નર્સ છે “નેહા સિસ્ટર”.

સિવલ હોસ્પિટલમાં ફરજરત નેહા સિસ્ટર ઘણાં સમયથી પ્લાસ્ટીક ઓપરેશન થીયેટરમાં ફરજ અદા કરી રહ્યા છે. તેમણે સિવિલ હોસ્પિટલના અંગદાનની મુહિમમાં સહર્ષ જોડાઇને સેવાકાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે.

નેહા સિસ્ટર ઓર્થોપેડિક ઓપરેશન થીયેટર,ગાયનેક ઓ.ટી.,સર્જીકલ ઓ.ટી. સહિત પ્લાસ્ટિક ઓ.ટી.માં કામગીરી કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.

અંગદાનના રીટ્રાઇવલ સેન્ટરમાં કામગીરી અન્ય થી કંઇ રીતે અલગ છે તેના વિશે જણાવતા તેઓ કહે છે કે, અન્ય ઓપરેશન થીયટેરમાં દાખલ દર્દીના જીવ બચાવવા માટે ઓપરેશન કરવામાં આવે છે જ્યારે રીટ્રાઇવલ સેન્ટરમાં 9 વ્યક્તિઓને નવજીવન આપવા .

સિસ્ટર પોતાની કામગીરી વિશે માહિતી આપતા જણાવે છે કે, બ્રેઇનડેડ શરીરને આઇ.સી.યુ.માંથી માનપૂર્વક રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવે છે. શરીરને લાઇવ સપોર્ટીંગ સીસ્ટમ પર જીવંત રાખવા માટેની વ્યવસ્થા હાથ ધરાય છે. મારી અન્ય કામગીરીમાં રીટ્રાઇવલ કરતા તબીબો અને પ્રત્યારોપણ માટે આવેલા તબીબોને ઓ.ટી. ડ્રેસ, અન્ય ઉપકરણો ઉપલબ્ધ કરાવવા અને તમામ પ્રકારની વ્યવસ્થાનું સુદ્રઢ અને ત્વરીત આયોજન કરવાનું હોય છે.

તબીબો સાથે સહાયક તરીકે સંપૂર્ણ પ્રક્રિયા સાથે જોડાઇને તમામ અંગોનું રીટ્રાઇવલ થઇ ન જાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ફરજ રહીએ છીએ. નેહા સિસ્ટર સિવિલ હોસ્પિટલના ફરજ ના કલાકો બાદ સમાજ પ્રત્યેની ફરજ અને ઉત્તરદાયિત્વ નિભાવવા ઓર્ગેન ડોનેશની જાગૃતી માટે ડોનેટ યોર સેલ્ફ કરીને સોશિયલ મીડિયા પર કેમ્પેઇનીંગ કરે છે.

ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકોમાં પણ અંગદાન પ્રત્યે જાગૃકતા લાવવા તેઓએ જનજાગૃતિની પ્રવૃતિઓ આરંભી છે.
સિવિલ હોસ્પિટલના અંગદાનની મુહિમ 60 એ પહોંચી છે. સિવિલ હોસ્પિટલ તંત્રના અથાગ પરિશ્રમ અને આદરેલા સેવાયજ્ઞમાં 60 અંગદાતાઓના પરિવારજનોએ કરેલા અંગોના દાન થકી 163 જીવોમાં જીવ આવ્યો છે.

અંગદાન બાદ અંગોના રીટ્રાઇવલ માટે જેટલી મહેનત તબીબો કરે છે તેટલો જ પરિશ્રમ તેમના સાથે રહીને નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.

નિષ્ણાંત તબીબો સાથે સહાયકની ભૂમિકા અદા કરીને અંગોનું રીટ્રાઇવલ કરીને તેને પ્રત્યારોપણ કેન્દ્ર સુધી મોકલવાની તમામ સફરમાં કળીરૂપ ભૂમિકા નર્સિંગ સ્ટાફની છે.

આજે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના વડપણ હેઠળની SOTTO ની ટીમ કે જેમાં સિનિયર તબીબો, ઇનટેન્સીવિસ્ટ, ન્યુરોસર્જરી, મેડિસીન ડિપાર્ટમેન્ટ ,એનેસ્થેટિક ડિપાર્ટમેન્ટ, જનરલ સર્જન, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર્સ, સીક્યુરીટી ગાર્ડના સંકલનના પરિણામે જ અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે અને જવલંત સફળતા હાંસલ કરી છે. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.