ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત ગાંધીનગરમાં મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત લીધી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત નાઓર ગીલોને ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથે તેમણે ખાસ કરીને ગુજરાતમાં ઇઝરાયેલના સહયોગ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલી આઇ ક્રિયેટ દ્વારા યુવાશક્તિના ઇનોવેશન્સ અને નવિન શોધ સંશોધનને મળી રહેલા પ્રોત્સાહન અંગે વિસ્તૃત પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ પણ તાજેતરમાં આ આઇક્રિયેટની તેમણે લીધેલી મુલાકાત ત્યાં હાથ ધરાયેલી પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા.
ઇઝરાયેલ રાજદૂતે ગુજરાત સાથે કૃષિ ક્ષેત્રમાં સેન્ટર ઓફ એકસ્લન્સ સહિતની જે ઇઝરાયેલ ભાગીદારી છે તેને વધુ વ્યાપક બનાવવા પણ તત્પરતા વ્યક્ત કરી હતી.
ઇઝરાયેલ રાજદૂતે ઇઝરાયેલની ડીસેલીનેશન પ્લાન્ટ ટેક્નોલોજી દ્વારા સમુદ્રના ખારા પાણીને પીવાલાયક મીઠા બનાવવાની સફળતાના ગુજરાતમાં પણ પ્રયોગ અંગે મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ તેમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આકાર પામેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પણ આમંત્રણ આપ્યું હતું.
આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા