ઇન્ટરપોલે ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી
નવીદિલ્હી, ઇન્ટરપોલે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી છે. તેણે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાની જવાબદારી લીધી છે. કહેવાય છે કે ગોલ્ડી બ્રાર હાલ કેનેડામાં છે. પંજાબ પોલીસે સિદ્ધુ મુસેવાલાની હત્યાના ૧૦ દિવસ પહેલા બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરી હતી. કેનેડામાં રહેતા બ્રારે મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ફરીદકોટમાં નોંધાયેલા બે અલગ-અલગ કેસમાં સતીન્દ્રજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે પંજાબ પોલીસે ૧૯ મેના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને આ સંબંધમાં પ્રસ્તાવ મોકલ્યો હતો, જેના ૧૦ દિવસ પછી મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. દરમિયાન, એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને પ્રત્યાર્પણ કરવામાં કોઈ કસર છોડી રહી નથી. પ્રવક્તાએ કહ્યું કે રેડ કોર્નર નોટિસ તેના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો કરશે.
શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી બ્રાર ૨૦૧૭માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. બ્રાર સામે નવેમ્બર ૨૦૨૦ અને ફેબ્રુઆરી ૨૦૨૧માં હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ બે કેસ નોંધાયા હતા. ગયા વર્ષે યુવા અકાલી નેતા વિકી મિદુખેડાની હત્યાનો બદલો લેવા મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, સિદ્ધુ મુસેવાલાની ૨૯ મે, રવિવારના રોજ પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુસેવાલા (૨૭) પણ કોંગ્રેસના નેતા હતા.
પંજાબ સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. સિદ્ધુ મુસેવાલા ભણવા માટે કેનેડા ગયા હતા, ત્યારપછી જ્યારે તેઓ પંજાબ ગાયક તરીકે પાછા ફર્યા. સિદ્ધુ મુસેવાલા પણ ઘણા વિવાદો સાથે જાેડાયેલા હતા.
ઉલ્લેખનીય છે કે, રેડ કોર્નર નોટિસ વિદેશ ભાગી ગયેલ વ્યક્તિની ધરપકડ અને અટકાયતની મંજૂરી આપે છે. જેની સામે ફોજદારી કેસ નોંધાયેલ છે તે વ્યક્તિને શોધવા અથવા અસ્થાયી રૂપે ધરપકડ કરવા માટે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવે છે. તે વિશ્વના દેશોને તે વ્યક્તિના ગુના વિશે માહિતગાર કરે છે અને એલર્ટ પણ કરે છે.SS1MS