Western Times News

Gujarati News

ઈઝરાઈલે સમગ્ર દેશમાં ત્રીજી વાર લોકડાઉન લાદયું

Files Photo

જેરુસલેમ, ઇઝરાઈલે ગુરુવારે આખા દેશમાં ત્રીજી વખત લોકડાઉન જાહેર કરવાની જાહેરાત કરી છે, આ લોકડાઉન આવતા અઠવાડિયાથી લાગુ થશે. કોરોના સામે લડવા માટે દેશમાં રસીકરણ કરવામાં આવશે તેના બીજા જ દિવસથી આખા દેશે લોકડાઉનનું પાલન કરવું પડશે. વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુની ઓફિસથી જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ લોકડાઉન આગામી ૨ અઠવાડિયા માટે રવિવારે સાંજે ૫ વાગ્યાથી લાગુ કરવામાં આવ્યું છે.

વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ લોકડાઉનને વધુ બે અઠવાડિયા સુધી લંબાવવાનો વિકલ્પ રાખવામાં આવ્યો છે, કોરોના વાયરસના નવા કેસનો આંકડો ૧૦૦૦ની નીચે ના આવે ત્યાં સુધી લોકડાઉન લાગુ રાખવામાં આવશે. લોકડાઉન દરમિયાન ઇઝરાઈલમાં લોકો એક કિલોમીટર સુધીના અંતર કાપી શકશે, આ દરમિયાન લોકોએ ઘરમાં રહેવું પડશે અને વેપાર-ધંધા બંધ રહેશે. પરંતુ આ દરમિયાન જરુરી સામાનની ડિલિવરી ચાલુ રખાશે.

લોકડાઉનના સમયમાં અમુક ઉંમરના લોકો માટે સ્કૂલ અને વેક્સીન નેશનની કામગીરી સાથે સંકળાયેલા લોકો બહાર નીકળી શકશે. પાછલા સપ્ટેમ્બરના લોકડાઉન પછી કેસમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયા બાદ ફરી એકવાર લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. ૯૦ લાખની વસ્તી ધરાવતા ઇઝરાઈલમાં ૩,૮૫,૦૨૨ કોરોના કેસ નોંધાયા છે જ્યારે ૩,૧૫૦ લોકોએ જીવ ગુમાવ્યો છે.

બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ઈંગ્લેન્ડમાં સૌથી પહેલા દેખાયેલા કોરોના વાયરસના નવા પ્રકાર સ્ટ્રેનના ૪ કેસ ઇઝરાઈલમાં નોંધાયા છે, અને તે ઝડપથી ફેલાતા હોવાથી ખાસ કાળજી લેવાઈ રહી છે. આ કારણે ઈંગ્લેન્ડ, ડેન્માર્ક કે સાઉથ આફ્રીકામાં ફેલાયેલા નવા કોરોના વાયરસના પ્રકારના કારણે ત્યાંથી આવનારા લોકોને આ અઠવાડિયે પ્રવાસની મનાઈ ફરમાવવામાં આવી છે. આ સાથે જેઓ બહારના દેશમાંથી આવે છે તેમણે ફરજિયાત રીતે કોરન્ટાઈન થવું પડશે.નોંધનીય છે કે, ભારતમાં ૨૫ માર્ચ ૨૦૨૦થી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જે ૪ તબક્કામાં ૬૮ દિવસ સુધી ચાલ્યું હતું અને ૧ જૂનથી અનલોકની શરુઆત કરવામાં આવી હતી. જેમાં હાલ અનલોકનો સાતમો તબક્કો ચાલી રહ્યો છે જે ૩૧ ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.