ઈમરાન સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ હવે ૨૮ માર્ચે રજૂ થશે

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર સામે આજે એટલે કે, ૨૫ માર્ચના રોજ જે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થવાનો હતો તે હવે ૩ દિવસ માટે ટાળી દેવાયો છે.
એક સાંસદનું મૃત્યુ થવાના કારણે સ્પીકર અસદ કૈસરે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાની તારીખ ૨૮ માર્ચ (સોમવાર) કરી દીધી છે. એમ કહેવામાં આવ્યું છે કે, ઈમરાન સરકાર સામેના આ પ્રસ્તાવ પર આગામી સપ્તાહે જ વોટિંગ થઈ શકશે.
આ બધા વચ્ચે ઈમરાન ખાન બહુમત સાબિત કરે તે પહેલા સાથી પાર્ટીઓને મનાવવાના તેમના પ્રયત્નો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. નેશનલ અસેમ્બલીમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સહયોગી પાર્ટી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (પીક્યૂએમ-પી)એ પણ વિપક્ષનો સાથ આપવાનો ર્નિણય લીધો છે. પાર્ટીના કહેવા પ્રમાણે તેઓ ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવવા માટે વિપક્ષી દળોના ગઠબંધનને સહયોગ આપશે.
પીક્યૂએમ-એ હાલ સત્તાધીશ પીટીઆઈની સૌથી મોટી સહયોગી પાર્ટી છે. નેશનલ અસેમ્બલીમાં તેના પાસે ૭ સાંસદો છે. ઘણાં લાંબા સમયથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાનને તોડવાના પ્રયત્નમાં હતા. જાેકે છેક હવે પીપીપી અને પીક્યૂએમ વચ્ચે સમજૂતી થઈ છે.
પીપીપીના મહાસચિવ ફરહાતુલ્લા બાબરે જણાવ્યું કે, પીક્યૂએમ સાથે વાતચીત બાદ સમગ્ર મુદ્દા પર સમજૂતી થઈ ગઈ છે. શક્ય છે કે, ઈમરાન સરકારના કેટલાક મંત્રી પણ વિપક્ષનો સાથ આપે. રિપોર્ટ્સ પ્રમાણે પીક્યૂએમ-પીએ ઈમરાન સરકાર ભાંગી પડ્યા બાદ પોતાના માટે મંત્રીપદોની માગણી રાખી છે.
SSS