ઈલેક્ટ્રિક થાંભલા ઉપર મોરનો શિકાર કરવા જતા દીપડાને કરંટ લગતા દીપડા અને મોરનું મોત.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકના બાકરોલ ગામ પાસે આવેલ મોટી કેનાલ પાસે ઈલેક્ટ્રિક વીજ થાંભલા ઉપર રહેલા મોરનો શિકાર કરવા માટે દીપડા એ છલાંગ લગાવતા વીજ થાંભલા ઉપર રહેલા મોર અને દીપડાનું ઘટના સ્થળે મોત નીપજતા ધટના સ્થળે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ના બાકરોલ ગામે મોટી કેનાલ નજીક અનેક ઈલેક્ટ્રીક થાંભલાઓ આવેલા છે અને આ થાંભલા ઉપર રાષ્ટ્રીય પક્ષી મોર બેઠો હતો.તે દરમ્યાન નજીક થી પસાર થતા દીપડાની નજર મોર ઉપર પડતા તેનો શિકાર કરવા જતા દીપડાએ મોરને શિકાર કરવા માટે મોર ઉપર છલાંગ લગાવતા મોર અને દીપડાને કરંટ લાગ્યો હતો અને મોર થાંભલા ઉપર લટકી પડયો હતો.
જયારે દીપડો જમીન ઉપર પટકાતા તેનું પણ મોત થયું હતું.ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.દીપડા અને મોરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મોટી માત્રામાં ખેતરો આવેલા હોય અને ખેતરોમાં ખેત મજૂરો અને ખેડૂતો સતત અવરજવર કરી રહ્યા હોય અને દીપડો મોરનો શિકાર કરતા મૃત્યુ પામતા આ પંથકમાં દીપડા નો ભય ઉભો થયો છે.
ત્યારે ખેડૂતોના ખેતરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ખેત મજૂરો અને ખેડૂતોની સાવચેતી માટે વિવિધ ખેતરોમાં દીપડાને પાંજરે પુરવા માટે પાંજરા ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે.