એરફોર્સે એક સાથે 10 આકાશ મિસાઈલનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી, ઈન્ડિયન એરફોર્સે આજે એક સાથે દસ આકાશ મિસાઈલ ફાયર કરીને યુદ્ધ જેવા માહોલનું પરીક્ષણ કર્યું હતું. સામાન્ય સંજોગોમાં એક સમયે એક મિસાઈલનું પરીક્ષણ થતું હોય છે. પણ યુદ્ધની સ્થિતિમાં તો ગમે ત્યાંથી ગમે ત્યારે મિસાઈલ ફાયર કરવા પડે.
સ્વદેશમાં બનેલા આકાશ મિસાઈલનું પરીક્ષણ આંધ્ર પ્રદેશમાં આવેલી સુર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યું હતું. દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત-ચીન વચ્ચે મડાગાંઠ થોડી ગૂંચવાડા ભરી છે, સાવ સીધી સરળ નથી. માટે ઉકેલ આવતા વાર લાગી શકે છે. તેમાં ચિંતાનુ કોઈ કારણ નથી.
તેમણે યાદ કરાવ્યું હતું કે 1986માં ભારત-ચીનના સૈનિકો તવાંગની સમુદ્રોંગચો ખીણમાં સામસામે આવી ગયા હતા. એ મુદ્દાનો ઉકેલ આવતા આવતા નવ વર્ષ નીકળી ગયા હતા. એ રીતે ગલવાનમાં પણ ઉકેલ આવતા લાંબો સમય લાગી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત તેની ડિમાન્ડ પર મક્કમ છે.