એવું તે શું થયું કે સગા મોટાભાઈએ નાનાભાઈને પતાવી દીધો?

AI Image, પ્રતિકાત્મક
(એજન્સી)છોટા ઉદેપુર, જર, જમીન અને જોરૂ, કજિયાના છોરું. આ કહેવતને સાચી ઠેરવતી એક હૃદયદ્રાવક ઘટના છોટા ઉદેપુરમાંથી સામે આવી છે, જ્યાં જમીનના ભાગને લઈને બે સાવકા ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડાએ ખૂની અંજામ લીધો છે.
જમીનના ઝઘડામાં મોટા ભાઈએ પોતાના નાના ભાઈની પાળિયા વડે નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. છોટા ઉદેપુરના ડિસ્ટલી ફળિયામાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં સાવકા ભાઈઓ વચ્ચે જમીનના ભાગને લઈને લાંબા સમયથી ચાલતી અદાવતે ગંભીર સ્વરૂપ લીધું છે. આરોપી જીવન રાઠવા અને મૃતક દિનેશ રાઠવા વચ્ચે આ મુદ્દે ગઈકાલે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ ઝઘડો એટલો વધ્યો કે જીવન રાઠવાએ ગુસ્સામાં આવીને પાળિયા વડે દિનેશના મોઢા અને ગળાના ભાગે અનેક ઘા મારી દીધા, જેના કારણે દિનેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે જણાવ્યું કે હત્યા બાદ આરોપી જીવન રાઠવા પોતે જ હત્યામાં વપરાયેલું પાળિયું લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો
અને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને મૃતક દિનેશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકોમાં જમીનના વિવાદોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.
પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આવી ઘટનાઓ સમાજમાં સંબંધોની નાજુકતા અને મિલકતના વિવાદોની ગંભીરતા દર્શાવે છે. આવા મુદ્દાઓનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સમાજે પણ પગલાં લેવાની જરૂર છે.