ઓછો સામાન લઈને જનારને ટિકિટ દરમાં રાહતની શક્યતા
નવી દિલ્હી: પ્રવાસ કરતી વખતે હંમેશા ઓછો સામાન લઈ જવાથી સરળતા રહે છે. જાે કે હવે ઓછો સામાન લઈ જવો તમારા માટે ફાયદારૂપ પુરવાર થઈ શકે છે. સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રે એરલાઈન કંપનીઓ ઓછો સામાન લઈને મુસાફરી કરનાર મુસાફરોને ટિકિટભાડામાં મોટી રાહત આપે તેવી સંભાવના છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ પોતાના એક પરિપત્રમાં તમામ ડોમેસ્ટિક એરલાઈન કંપનીઓને જણાવ્યું છે કે જે મુસાફર ઓછા લગેજ સાથે ટ્રાવેલ કરે છે
તેમની માટે આ વ્યવસ્થા હોવી જાેઈએ. ડીજીસીએએ ઝીરો બેગેજ/નો બેગેજ પોલિસી અંતર્ગત પ્રવાસીઓને ભાડાંમાં છૂટ આપવાનું સુચન કર્યું છે.
ડીજીસીએએ આ અંગેનો સંપૂર્ણ ર્નિણય એરલાઈન કંપનીઓ પર છોડ્યો છે કે તેઓ કિંમતોમાં છૂટ આપે છે કે કેમ. ઝીરો બેગેજ/ નો બેગેજ પોલિસીને લઈને ડીજીસીએએના નવા સર્ક્યુલરમાં જણાવાયું છે કે ફક્ત કેબિન બેગેજ લઈને જતા પ્રવાસીઓને ભાડાંમાં રાહત મળી શકશે.
વર્તમાન નિયમો મુજબ જે પેસેન્જર ૧૫ કિલોથી વધુ લગેજ લઈને ટ્રાવેલ કરે છે તો તેની પાસેથી વધારાના લગેત પર ચાર્જ વસૂલવામાં આવે છે. અત્યાર સુધી એક વ્યક્તિ ૭ કિલો હેન્ડબેગેજ અને ૧૫ કિલો ચેક ઈન લગેજ લઈને ટ્રાવેલ કરી શકે છે.
હવેથી જે લોકો ફક્ત કેબિન બેગેજ લઈને ટ્રાવેલ કરે છે તો તેમને ભાડાંમાં રાહત મળવાની સંભાવના છે. જે મુસાફર ચેકઈન બેગેજ લઈને નથી જતા તેમણે ટ્રાવેલ અગાઉ ટિકિટ બુકિંગ વખતે આ જાણકારી આપવી પડશે જેથી તેમને ટિકિટ ભાડાંમાં છૂટ મળી શકે.