ઓનલાઈન પૂજનવિધિ કરીને મા ખોડલને ધ્વજા,વાઘા અને થાળ અર્પણ કરતાં જાણિતા ઉદ્યોગપતિ

ડિજિટલ માધ્યમથી ભક્તો પૂજન વિધિનો લ્હાવો લઈ શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો અનેરો પ્રયાસ -ઓનલાઈન પૂજનવિધિ કરીને મા ખોડલને ધ્વજા,વાઘા અને થાળ અર્પણ કરતાં ભક્તો
ભક્તો ઘરે રહીને ધ્વજા,વાઘા અને થાળની પૂજન વિધિનો લ્હાવો લઈ શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ઓનલાઈન પૂજન વિધિ કરાવવામાં આવી રહી છે. હાલ કોરોના વાઇરસના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગ આવશ્યક બની ગયું છે ત્યારે ઘણા ભક્તો ઘરે બેઠાં પૂજન વિધિ કરીને મા ખોડલને ધ્વજા, વાઘા અને થાળ અર્પણ કરવા માટે ભાવ વ્યક્ત કરી રહ્યા છે. જેથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા મોબાઈલ દ્વારા વીડિયો કોલના માધ્યમથી ઓનલાઈન પૂજન વિધિ કરાવવામાં આવી રહી છે. જાણિતા ઉદ્યોગપતિ અને સૂઝલોન ગ્રુપના ફાઉન્ડર શ્રી તુલસીભાઈ તંતીએ ઓનલાઈન પૂજનવિધિ કરીને મા ખોડલને ધ્વજા, વાઘા અને થાળ અર્પણ કર્યા હતા.
મહામારીના આ સમયમાં ભક્તો મંદિરે આવી શકે તેમ ન હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ઘરે રહીને ઓનલાઈન પૂજન વિધિ કરાવી ખોડલધામ મંદિરમાં ધ્વજા, વાઘા અને થાળ અર્પણકરવાનો અનન્ય લ્હાવો આપવામાં આવી રહ્યો છે. ધ્વજા, વાઘા અને થાળનું બુકિંગ કરાવનાર ભક્તોને વીડિયો કોલના માધ્યમથી જોડી ઓનલાઈન પૂજન વિધિ કરાવાઈ રહી છે. રવિવારે જાણિતા ઉદ્યોગપતિ અને સૂઝલોન ગ્રુપના ફાઉન્ડર શ્રી તુલસીભાઈ તંતીએ પુના ખાતેના નિવાસસ્થાનેથી પરિવાર સાથે ઓનલાઈન પૂજનવિધિ કરીને મા ખોડલને ધ્વજા, વાઘા અને થાળ અર્પણ કરી મા ખોડલના આશીર્વાદ લીધા હતા. આ પ્રકારે હાલના સમયમાં અનેક ભક્તોને ઘરે બેઠા ઓનલાઈન પૂજન વિધિ કરાવવામાં આવી રહી છે.