ઓમ પ્રકાશ ચૌટાલા આવકથી વધુ સંપત્તિ કેસમાં દોષી જાહેર
નવી દિલ્હી, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને આવકથી વધુ સંપત્તિના મામલામાં દિલ્હીની રાઉસ એવેન્યૂ કોર્ટે દોષી ઠેરવ્યા છે. હવે પૂર્વ મુખ્યમંત્રીની સજા પર ૨૬ મેએ ચર્ચા થશે અને તે દિવસે સજાની જાહેરાત કરવામાં આવશે.
આ પહેલા ૧૯ મેએ કોર્ટે આવકથી વધુ સંપત્તિના કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. કોર્ટમાં શનિવારે સુનાવણી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.
આ મામલામાં સીબીઆઈએ ૨૬ માર્ચ ૨૦૧૦ના ચૌટાલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમને ૧૯૯૩થી ૨૦૦૬ વચ્ચે આવકથી વધુ ૬.૦૯ કરોડની સંપત્તિ ભેગી કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની ૩.૬૮ કરોડ રૂપિયાની સંપત્તિ ઈડીએ ૨૦૧૯માં જપ્ત કરી હતી. આ કાર્યવાહી આવક કરતા વધુ સંપત્તિના એક કેસમાં મની લોન્ડ્રિંગ હેઠળ દાખલ કેસને લઈને થઈ હતી.
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચૌટાલા ૨૦૧૩માં જેબીટી કૌભાંડમાં દોષી સાબિત થયા હતા. તેમને પ્રીવેન્શન ઓફ કરપ્શનમાં સાત વર્ષ અને ષડયંત્રમાં દોષી સાબિત થતા ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પાછલા વર્ષે ૨ જુલાઈએ તે સજા પૂરી કરી જેલમાંથી બહાર આવ્યા હતા.ss3kp