કચ્છવાસીઓને ૬ તાલુકાઓનાં ૭૭ ગામોને સિંચાઇનો લાભ મળશે
ભુજ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છનાં મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણામાં ૪ હજાર ૩૬૯ કરોડના ફેઝ એકના કામની મંજૂરી આપી છે. આ કામો હાથ ધરાતા ૭૭ કરતા વધુ ગામોની સિંચાઈની સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-૧નાં કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડનાં કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીનાં ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા ૪ લિંકનું આયોજન કરાયું છે.
કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. મુખ્યમંત્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-૧ અંતર્ગત ૪૩૬૯ કરોડ રૂપિયાનાં કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે.
આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છનાં મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના ૭૭ ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. એટલું જ નહીં પરંતુ અંદાજે ૨ લાખ ૮૧ હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.HS