કનૈયાના હત્યારાઓ અજમેરથી વિદેશ ભાગી જવાના હતાઃ પીછો કરી રહેલી પોલીસ પાસે બંદૂક પણ નહોતી
જયપુર, રાજસ્થાન પોલીસે માત્ર ૫ કલાકમાં જ કનૈયાલાલના હત્યારા રિયાઝ અને ગૌસની ધરપકડ કરી હતી. ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે જે પોલીસ ટીમે બંનેને પકડ્યા હતા તેમની પાસે ડંડા સિવાય અન્ય કોઈ હથિયાર નહોતું. તેમ છતાં પોલીસ ટીમે બંને હત્યારાઓને ઝડપી લીધા હતા. પોલીસ થોડી પણ ચૂકી ગઈ હોત તો હત્યારા અજમેર અને ત્યાંથી વિદેશ ભાગી ગયા હોત.
એવું પણ જાણવા મળ્યું છે કે ૨૮ જૂને ઉદયપુરમાં એક નહીં પરંતુ બે હત્યાઓ થવાની હતી. હત્યારા પણ ૪ હતા. રિયાઝ અને ગૌસને તાલિબાની રીતે કનૈયાલાલનું ગળું કાપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બંને તેમના પ્લાનમાં સફળ પણ થયા, પરંતુ બીજી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું. પોલીસે માત્ર ૫ કલાકમાં આ બે હત્યારા કેવી રીતે ઝડપ્યા? પોલીસનો પ્લાન અને કાર્યવાહી શું હતી? કેવા-કેવા પ્રયત્નો કર્યા?
આ સવાલોના જવાબ જાણવા માટે ભાસ્કર ટીમ ઉદયપુરથી ૧૭૫ કિમી દૂર એ જ ભીમ વિસ્તારમાં પહોંચી હતી, જ્યાંથી બંને આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે ભીમ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં પોલીસ એકઠી થઈ ગઈ હતી. રાજસમંદ એસપી, એએસપી અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે હત્યાના બીજા દિવસે ભીમમાં એક કોન્સ્ટેબલ પર બદમાશોએ તલવાર વડે હુમલો કર્યો હતો.
એ જ બદમાશોની શોધ ચાલુ છે. હત્યારાઓને પકડનારી ટીમે વાતચીતમાં કહ્યું હતું કે તેમણે હત્યારાઓના નાશી છુટ્યાથી લઈને ઝડપી લેવા સુધીનાં ૫ કલાકનો સમગ્ર ક્રમ વર્ણવ્યો હતો. બીજી હત્યા કેવી રીતે નિષ્ફળ ગઈ તે પણ જણાવ્યું. કોન્સ્ટેબલ તેજપાલે જણાવ્યું કે, કનૈયાલાલની હત્યા કર્યા બાદ રિયાઝ અને ગૌસ બાઇક પર ગામડાઓનાં રસ્તેથી ભાગી ગયા હતા. તેઓ પાણી પીવા માટે નાથદ્વારામાં રોકાયા.
આ પછી બંને ભીમ તરફ રવાના થયા. લગભગ ૧૫ પોલીસ સ્ટેશનનો વિસ્તાર પાર કરીને બંને ગામના રસ્તેથી દેવગઢ પહોંચ્યા હતા. તે સમયે તેમની પાસે માત્ર ૫૧૦ રૂપિયા બચ્યા હતા. દેવગઢમાં એખ પેટ્રોલ પંપ પર તે બધા જ રૂપિયાનું બાઇકમાં પેટ્રોલ ભરાવી લીધું હતું. બંનેનો પંપના કર્મચારીઓ સાથે ઝઘડો પણ થયો હતો. તકરાર બાદ તેઓ ત્યાંથી તેજ ગતિએ બાઇક લઇને ભાગી ગયા હતા. ત્યાં સુધીમાં બંનેનો વીડિયો વાયરલ થઈ ગયો હતો.
તાલના રહેવાસી ભગવાન સિંહે પોલીસને જાણ કરી હતી કે તેના પેટ્રોલ પંપથી બે બદમાશો હમણાં જ ભાગી છુટ્યા છે.
કોન્સ્ટેબલ શૌકતે કહ્યું કે, સૌથી પહેલા દેવગઢ પોલીસ સ્ટેશનમાંથી બદમાશોની માહિતી મળી હતી. આ અંગે કોન્સ્ટેબલ સત્યનારાયણ અને ગૌતમ બાઇક પર તેમનો પીછો કર્યો હતો. બંને બદમાશો ઝડપી બાઇક ચલાવી રહ્યા હતા, જ્યારે બંને કોન્સ્ટેબલ પાસે જૂની બાઇક હતી.
આનો ફાયદો ઉઠાવીને બદમાશો નજરથી ગાયબ થઈ ગયા અને ગામમાં ઘૂસી ગયા. જે બાદ કોન્સ્ટેબલ સત્યનારાયણ પરિચિતની સ્પોર્ટ્સ બાઇક લઈને બદમાશોની પાછળ ગયા હતા. ગૌસ મોહમ્મદ અને રિયાઝ ભીમ નગરમાંથી સીધા હાઈવે પર આવ્યા. રિયાઝ બાઇક ચલાવી રહ્યો હતો અને ગૌસ પાછળ બેઠો હતો. પોલીસથી બચવા માટે, ગૌસે ચાલતી બાઇક પર ટી-શર્ટ બદલી નાખ્યું.
થોડીવાર માટે બાઇક રોકી અને પછી રિયાઝે પાછળ બેસીને કપડાં બદલ્યા અને એકે હેલ્મેટ પહેર્યું અને બીજાએ મોઢા પર રૂમાલ બાંધી દીધો હતો. સ્પોર્ટ્સ બાઇકનો પીછો કરી રહેલા કોન્સ્ટેબલ સત્યનારાયણ અને ગૌતમને ખબર હતી કે આગળ ગાઢ જંગલ છે. જાે હત્યારાઓ ત્યાં સુધી પહોંચી જશો તો હાથમાંથી છટકી જશે. તેઓએ બાઇકની સ્પીડ વધારી અને ૮ કિલોમીટર સુધી પીછો કર્યો, પરંતુ હત્યારાઓ તેમની પહોંચથી દુર હતા.
ત્યાર બાદ સત્યનારાયણે પોલીસ ટીમ સાથે નાકાબંધી કરી રહેલા કોન્સ્ટેબલ શૌકતને બંનેના આવવા અંગેની જાણ કરી હતી. ટીમ એલર્ટ થઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે જ કોન્સ્ટેબલ તેજપાલ, શૌકત, નરેન્દ્ર સહિત સાત પોલીસકર્મીઓ વળાંક પર તૈનાત થઈ ગયા હતા. કોઈપણ પોલીસકર્મીઓ પાસે હથિયાર નહોતું, માત્ર લાકડીઓ હતી. પોલીસને એ પણ ખબર હતી કે હત્યારાઓ પાસે ખંજર અને અન્ય હથિયારો પણ હોઈ શકે છે.
આરોપીને આવતા જાેઈ કોન્સ્ટેબલ તેજપાલે હાથમાં એક પથ્થર ઉઠાવ્યો અને રસ્તાની વચ્ચે આવીને ઊભો રહી ગયો. સામે કોન્સ્ટેબલને જાેઈને હત્યારાઓ ડરી ગયા. બાઇકનું સંતુલન ખોરવાઇ ગયું હતું અને બંને પડી ગયા ત્યારે પોલીસે તેમને દબોચી લીધા હતા. હત્યારાઓ માનતા હતા કે તેઓએ જે કર્યું તે યોગ્ય છે અને ઉપરવાળો તેમની સાથે છે. તેથી જ જ્યારે પોલીસે પકડાયા, ત્યારે તેમને એક ક્ષણ માટે વિશ્વાસ કરી શક્યા નહીં.
કહ્યું- ઉપરવાળાએ અમારી સાથે દગો કેવી રીતે કર્યો? બંને ઝડપાયા બાદ પોલીસે બાઇકની તપાસ કરી હતી. બાઇકની બેગમાંથી બંને લોહીના ડાઘવાળા ખંજર મળી આવ્યા હતા. બેગમાંથી જ કપડાં મળી આવ્યા.HS2KP