“કમલમ”ની ખેતીને પ્રોત્સાહન આપવા હેક્ટર દીઠ 1.25 લાખની સહાય આપવામાં આવશે

અમદાવાદ નગરજનો માટે કમલમ અને ફળ મહોત્સવ ખુલ્લો મુકતા મંત્રી શ્રી આર.સી. ફળદુ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અન્ય રાજ્યોમાં પણ આ ફાર્મ ફ્રેશ યોજવાનું કરાયુ આહવાન :ટૂંક સમયમાં દિલ્હીમાં પણ ગુજરાત દ્વારા કમલમ ફાર્મ ફ્રેશનું આયોજન કરાશે
રાજ્યના 25 જીલ્લાઓમાં 1200 જેટલા હેક્ટર વિસ્તારમાં કમલમ (ડ્રેગનફ્રુટ)નું વાવેતર કરવામાં આવી રહ્યું છે: કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર દીઠ રૂ.1.25 લાખની સહાય આપવામાં આવે છે
કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુએગુજરાતનો ખેડૂત સ્વસ્થ અને સમૃધ્ધ બને, ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બને તે માટેના સરકાર સતત ચિંતિત અને ખેડૂતોના લાભાર્થે કાર્યશીલ હોવાનું જણાવીને દેશમાં કમલમ ફ્રુટના કુલ ઉત્પાદનમાં 35 ટકા ઉત્પાદન ગુજરાત રાજ્યનું હોવાનું ઉમેર્યુ હતુ.
અમદાવાદ શહેરના કર્ણાવતી ક્લબમાં મંત્રી શ્રી એ ફાર્મ ફ્રેશ એટલે કે કમલમ અને ફળ મહોત્સવ 2021 નો પ્રારંભ કરાવી નગરજનો માટે ખુલ્લો મુક્યો હતો. આ ફાર્મ ફ્રેશ 6 સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેશે.
દેશમાં કમલમ(ડ્રેગનફ્રુટ) ના કુલ ઉત્પાદનમાં 35 ટકા ઉત્પાદન સાથે અગ્રેસર ગુજરાત હવે દેશભરના ખેડૂતો માટે મોડલ બનશે – કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુ
કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ એ એમ પણ કહ્યું કે , કમલમ ફ્રુટ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે. કોરોનાકાળમાં પણ તબીબો દ્વારા આ ફ્રુટના સેવન માટેની સલાહ આપવામાં આવતી હોય છે. ત્યારે રાજ્યના ખેડૂતો વધુને વધુ આ ફ્રુટના ઉત્પાદન ક્ષેત્રે આકર્ષાય તે માટે આજનો કમલમ ફ્રુટ મહોત્સવ પ્રેરણારૂપ બની રહેશે.
ખેડૂતોને કમલમ ફ્રુટના વાવેતર વધારવા માટે રાજય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર દીઠ 1.25 લાખ રૂપિયાની નાણાકીય સહાય બાગાયતી ખેતી માટે આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેના પગલે રાજ્યના 25 જીલ્લાઓમાં 1200 જેટલા હેક્ટર વિસ્તારમાં આ ફ્રુટનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન 2005 માં કૃષિ મહોત્સવની શરૂઆત કરીને રાજ્યના કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કર્યા હતા. રાજ્યના ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે સાથે આજે આધુનિક ખેતી કરતો થયા છે.
ખેડૂતોએ બાગાયતી ખેતપેદાશ ક્ષેત્રે પણ ઉત્તરોઉત્તર પ્રગતિ કરીને દેશને નવો માર્ગ બતાવ્યો છે. જેના પરિણામે રાજ્યામાં કમલમ ફ્રુટમાં પણ છેલ્લા 2 વર્ષમાં અસરકારક ઉત્પાદન જોવા મળ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. જે સહિયારા પુરુષાર્થ થકી જ શક્ય બનશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યના ખેડૂતોને અનેકવિધ ખેતપધ્ધતિઓથી માહિતગાર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોને પરંપરાગત ખેતી, પ્રાકૃતિક ખેતી, બાગાયતી ખેતી ક્ષેત્રે પણ વધુને વધુ ઉત્પાદન વધારવા સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે.
રાજ્યના ખેડૂતોની ખેતપેદાશોને પણ યોગ્ય ભાવ મળે તે માટે રાજ્યમાં 250 થી વધુ એ.પી.એમ.સી. કાર્યરત કરવામાં આવી છે. આજે સરકારી એ.પી.એમ.સી.ની સાથે સાથે ખાનગી એ.પી.એમ.સી. પણ કાર્યરત કરીને રાજ્યના ખેડૂતોની ખેતપેદાશોને યોગ્ય ભાવ અપાવી રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવાના આયોજનબધ્ધ પગલા લીધા છે.
રાજ્યમાં દર વર્ષે મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેના પગલે રાજ્યના બાગાયત ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતોને આકર્ષવાનો અને નાગરિકોમાં પણ કેરીની ગુણવત્તા તેની ઉપયોગીતાને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે.
આ દિશામાં આગળ વધીને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કમલમ ફ્રુટ ફેસ્ટીવલનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કમલમ ફ્રુટના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર ગુજરાત દેશના ખેડૂતોને પણ આ ક્ષેત્રે પ્રોત્સાહિત કરે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હી અને દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના ફેસ્ટીવલની આગેવાની લેવા માટે ગુજરાતને આહવાન કર્યુ હતુ. જેના પગલે ટૂંક સમયમાં દિલ્હી ખાતે પણ આ પ્રકારના કમલમ ફાર્મ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવશે તેમ કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદ્રુ એ ઉમેર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફળ મહોત્સવમાં વિવિધ ફળોના વેચાણ માટે રાજ્યના ૪૦ થી ૪૫ ખેડૂતો ૨૩ સ્ટોલમાં પોતાની ઉત્તમ ઉત્પાદનો લઈને આવ્યા છે. જેમાં કમલમ ઉપરાંત જામફળ,પપૈયાં,એક્સપોર્ટક્વોલીટી કેળાં,એક્ઝોટીક શાકભાજી અને મશરૂમ તેમજ ડિહાઈડ્રેટેડપ્રોડક્ટસ તથા પ્રાકૃતિક ખેતીની પેદાશોનુંપણ વેચાણ કરવામાં આવશે. કમલમ અને ફળ ફેસ્ટિવલ નગરજનોમાં આરોગ્યપ્રદ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.