કમલમ પર હલ્લાબોલ મામલે આપના ૫૫ કાર્યકરોને જામીન

ગાંધીનગર, ગાંધીનગરમાં કોબા પાસે આવેલા ભાજપના કાર્યાલય કમલમમાં વિરોધ પ્રદર્શન મામલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી સહિત ૫૫ નેતાઓને ગાંધીનગરની કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે ઈસુદાન, ગોપાલ ઈટાલિયા સહિત ૫૫ના શરતી જામીન મંજૂર કર્યા છે. આ કિસ્સામાં તમને સાંજ સુધીમાં જેલમાંથી મુક્તિ મળવાની પણ સંભાવના તેમના વકીલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કમલમમાં ગૌણ સેવા હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચેલા આપના નેતા અને કાર્યકર્તાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું જે બાદ તેમને પોલીસ દ્વારા ઝડપી લઈને જેલભેગા કરાયા હતા. આ દરમિયાન ભાજપના મહિલા કાર્યકર્તાઓએ આપના આગેવાનો પર છેડતીનો પણ આક્ષેપ કર્યો હતો. પોલીસે ધરણા માટે ગયેલા ૯૩ લોકોની ધરપકડ કરી હતી જેમની સામે કાર્યવાહી બાદ મહિલા સહિત અન્ય કુલ ૩૮ના જામીન કોર્ટ દ્વારા અગાઉ મંજૂર કરાયા હતા. જે પછી ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિત અન્ય ૫૫ લોકોને આજે જામીન આપ્યા છે.
વકીલે આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે કોર્ટે આજે ૫૫ લોકોના જામીન મંજૂરી કર્યા છે આ પહેલા ૨૮ મહિલાઓ હતી જેમના જામીન મંજૂરી કરવામાં આવ્યા હતા, જે પહેલા ૧૦ લોકોના જામીન મંજૂરી થયા હતા.
વકીલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા તે કમલમ પર આવેદન પત્ર આપવા માટે ગયા હતા. જે બાદ થયેલી કાર્યવાહીમાં તમામ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા લોકોના બચાવમાં વકીલ દ્વારા ગાંધીનગર સેશન્સ કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે પેપર લીક થયાની વાત સાચી ઠરી હતી, અને કાર્યકર્તાઓ આજ બાબતને લઈને આવેદન આપવા માટે પહોંચ્યા હતા.
ઈસુદાન ગઢવી સામે જે છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી જે અંગે વકીલે જણાવ્યું કે, જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને લઈને એફિડેવિટમાં કોઈ રજૂઆત નથી, મેડિકલ પુરાવા અંગેની પણ વાત નહોતી. એટલે તેના પરથી માની શકાય કે જે ફરિયાદ હતી તેને સંપૂર્ણ રીતે સ્વીકારી ના શકાય.
ફરિયાદમાં ઘણી બધી બાબતો રજૂ કરવામાં આવી છે કે જેના અંગે અમે ગઈકાલે કોર્ટમાં રજૂઆત કરી હતી. જે અંગે આજે કોર્ટે ર્નિણય લઈને જામીન મંજૂરી કર્યા છે.SSS