કરવેરા વ્યવસ્થા વધુ સરળ બનાવવા સરકારની તૈયારી

નવીદિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારામને આજે કહ્યું હતું કે, સરકારે ટેક્સ વ્યવસ્થાને વધુ સરળ બનાવવાની તૈયારી કરી દીધી છે. કેન્દ્રિય બજેટ ૨૦૨૦માં ટેક્સપેયર્સ ચાર્ટરની શરૂઆત કરવામાં આવી હતી. કરવેરા વ્યવસ્થાને વધુ સરળ કરવાની તૈયારી ચાલી રહી છે. ઈન્ડસ્ટ્રી સાથે વાતચીત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, સરકાર કરદાતાઓને વધુ રાહત આપવા ઈચ્છુક છે.
નાગરિકો ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવામાં આવી રહ્યો છે. ટેક્સપેયર્સ ચાર્ટર આ માટે લાવવામાં આવ્યો છે કે, સમગ્ર પ્રક્રિયાને કઈ રીતે સરળ કરવામાં આવી રહી છે. તે બાબતનો ઉલ્લેખ આમાં કરવામાં આવી રહ્યો છે. ગયા સપ્તાહમાં રજુ કરવામાં આવેલા બજેટમાં સીતારામને જાહેરાત કરી હતી કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા ટેક્સપેયર્સ ચાર્ટર અપનાવવામાં આવશે. જેનો મુખ્ય હેતુ કરદાતા અને વહીવટી તંત્ર વચ્ચે વિશ્વાસ વધારવાનો રહેલો છે.
આ ચાર્ટર ટેક્સપેયર્સના અધિકારોની રૂપરેખા નક્કી કરે છે. સાથે સાથે ટેક્સ વિભાગના હેતુ પણ રજુ કરે છે. નાણાંમંત્રીએ કહ્યું છે કે, ઇન્ફ્રાસ્ટ્રચરની રચનાથી ટૂંકા ગાળા અને લાંબાગાળાના લાભ મળી શકશે. રાજ્યો સાથે નજીકના અંતરથી કામ કરવામાં આવી રહ્યું છે. પ્રધાને એમ પણ કહ્યું હતું કે, એલઆઈસીના આઈપીઓથી વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સરકારને રેવેન્યુની ખુબ જરૂર દેખાઈ રહી છે. આ જ કારણસર એલઆઈસીમાં હિસ્સેદારી વેચવામાં આવી રહી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર ખુબ પારદર્શક રીતે આગળ વધવા માટે કટિબદ્ધ છે. ઇન્ડ્રસ્ટી પ્રતિનિધીઓ અને અર્થશાસ્ત્રીઓ સાથેની વાતચીતમાં સીતારામને જુદી જુદી બાબતોનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો હતો. નિર્મલા સીતારામને એમ પણ કહ્યું હતું કે, કરદાતાના હિતમાં શ્રેણીબદ્ધ નિર્ણય લેવામાં આવી રહ્યા છે.