કરૂણા અભિયાન – ૨૦૨૦ અંતર્ગત મહીસાગર વન વિભાગ દ્વારા પક્ષી બચાવો રેલી યોજાઇ

લુણાવાડા: દર વર્ષની જેમ પંતગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા રાજય સરકારશ્રી દ્રારા પ્રેરીત કરૂણા અભિયાનની શરૂઆત મહીસાગર જિલ્લામાં થઇ ગઇ છે. પ્રાણી કુરતા નિવારણ સમીતિ મહીસાગર વન વિભાગ લુણાવાડા દ્વારા દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સવારે ૦૯-૦૦ વાગ્યા પહેલા અને સાંજે ૦૫-૦૦ વાગ્યા પછી પતંગ ન ઉડાડવા લોક જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સાથે સાથે ચાઇનીઝ માંજા તરીકે ઓળખાતી પ્લાસ્ટીક કે કાચના માંજા વાળી દોરીઓનો ઉપયોગ ન કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ઘવાયેલા એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે સંવેદનશીલ રાજ્ય સરકારની કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ હેલ્પ લાઇન નંબર ૧૯૬૨ સાથે કાર્યરત છે. આ અભિયાન તા.૨૦મી જાન્યુઆરી- ૨૦૨૦ સુધી ચાલનાર હોય આ અંતર્ગત મહીસાગર જીલ્લા કલેકટરશ્રી આર.બી . બા૨ડ માર્ગદર્શનમાં વન વિભાગ, અને પશુપાલન શાખા અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ અને જીલ્લા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ – મહિસાગરના એન જી.ઓ. અને સ્વયંસેવકો કરૂણા અભિયાનમા કાર્યરત છે.
આ કાર્યક્રમને સફળતા મળે અને પતંગ દોરાથી પક્ષીઓ ધાયલ ન થાય અને આ માટે લોકજાગૃતિ કેળવાય જેમાં જીલ્લાના શાળાઓના વિધાર્થીઓને કરૂણા અભિયાન અંતર્ગત લેવડાવવાની પ્રતિજ્ઞા સાથે સાથે રેલીઓ પણ યોજાઇ રહી છે. પક્ષી બચાવો અભિયાન મહીસાગર કરૂણા અભિયાન – ૨૦૨૦ અંતર્ગત મહીસાગર વન વિભાગ દ્વારા લુણાવાડા નગરમાં ” પક્ષી બચાવો અભિયાન – ૨૦૨૦ ” માટે જનજાગૃતિ રેલી કરવામાં આવી હતી, જેમાં લુણાવાડાની શ્રી એસ.કે.હાઇસ્કૂલ ઉત્તરાયણ પર્વ નિમિતે વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પ્રેમીઓ ” પતંગ કાપો, પાંખ નહીં ” અને “ચાઇનીઝ દોરી, બંધ કરો” જેવા સ્લોંગનો સાથે જોશભેર રેલીમાં જોડાયા હતા.
જી. વી. કે. ઈ. એમ.આર.આઈ. દ્વારા ઉત્તરાયણ પર્વ ને ધ્યાનમાં રાખી ઈમરજન્સી – ૧૦૮ તૈનાત રહેવા માટે સૂચના અપાઈ છે તહેવાર હર્ષોલ્લાસના વાતાવરણમાં ઉજવાય તે માટે આધુનિક ટેકનોલોજીની મદદથી ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરને સજ્જ રહેવા માટે સૂચનાઓ અપાઈ છે.અકસ્માત સમયે તેને પહોંચી વળવા માટે એબ્યુલન્સ ઝડપથી કેસમાંથી મુક્ત થઈ અન્ય ઈમરજન્સી માટે તૈનાત રહે તે માટે મહીસાગર જિલ્લામાં ૧૨ ઈમરજન્સી વાન સાથે તમામ હોસ્પિટલો સાથે સંકલન રાખવા માટે જણાવાયું છે.
આ ઉપરાંત સંતરામપુર , લુણાવાડા અને બાલાસિનોર નગરપાલીકાઓના વિસ્તારમાં આ અભિયાન અંગે લોક જાગૃતિ કેળવાય તે માટે પ્રસાર માધ્યમોમાં પક્ષી સારવાર કેન્દ્ર તેમજ આ અભિયાનમાં જોડાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓના નામ તેમજ સરનામાં અને તેઓના ફોન નંબરો ની માહિતી અંગેની અગત્યના સ્થળોએ બેનરો લગાવી હેન્ડબીલ બનાવી લોકોના ઘરો સુધી પહોચાડી લોકજાગૃતિ કેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમ મહીસાગર વન વિભાગ નાયબ વન સરક્ષક શ્રી આર.ડી. જાડેજાએ અખબારી યાદીમાં જણાવયું છે તેમણે વધુમાં કોઈ ઘાયલ પક્ષી નજરે પડે તો તરત જ ઇમરજન્સી નંબર : ૧૯૬૨ / ૧૦૮-એમ્બ્યુલન્સ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ કંટ્રોલ રૂમ નં-(૦૨૬૭૪)-૨૫૨૩૦૦/૩૦૧ ટોલ ફ્રી નં-૧૦૭૭. નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે.