Western Times News

Gujarati News

કર્ણાટક સરકાર રાજ્યમાં મિશનરી ચર્ચોની તપાસ કરાવશે

બેંગ્લુરૂ, કર્ણાટકમાં પછાત જાતિઓ અને અલ્પસંખ્યક કલ્યાણની બંધારણીય સમિતિએ રાજ્યના મિશનરી ચર્ચોનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. તેનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ચર્ચ અને બળજબરીથી થતા ધર્માંતરણને અટકાવવાનો છે. સરકારના અનેક વિભાગ અને જિલ્લાઓના કમિશ્નર આ સર્વે કરાવશે.

૧૩ ઓક્ટોબરના રોજ ભાજપના ધારાસભ્ય શેખરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. ધારાસભ્યના કહેવા પ્રમાણે રાજ્યમાં બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે આ પગલું જરૂરી છે.

ભાજપના ધારાસભ્યે જણાવ્યું કે, પછાત જાતિઓના પ્રતિનિધિઓ અને અલ્પસંખ્યક વિભાગ, ગૃહ, રેવન્યુ અને કાયદા વિભાગે પણ રાજ્યમાં આશરે ૧,૭૯૦ ચર્ચ હોવાનું કહ્યું છે. કમિટીના કહેવા પ્રમાણે એ જાણવામાં આવશે કે, આમાંથી કેટલા ચર્ચ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયના અહેવાલ પ્રમાણે બળજબરીથી ધર્માંતરણના ૩૬ કેસ રિપોર્ટ થયા છે.

શેખરે જણાવ્યું કે, ‘બળજબરીથી ધર્માંતરણની સામાજીક બદી ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. અનેક જગ્યાઓએ રહેણાંક કોલોનીને પણ ચર્ચ અને બાઈબલ સોસાયટીમાં ફેરવવામાં આવી રહી છે. અમારે ગેરકાયદેસર પાદરીઓ અને આ પ્રકારના ચર્ચો અંગે ભાળ મેળવીને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવી છે. જે બાઈબલ સોસાયટી અને ચર્ચોનું રજિસ્ટ્રેશન નથી થયું અને મંજૂરી નથી અપાઈ તેમને ગેરકાયદેસર માનવામાં આવે છે.’

ચર્ચો સાથે સંકળાયેલા અનેક પાદરીઓ આ ર્નિણયના વિરોધમાં ઉભા થયા છે. એક પાદરીના કહેવા પ્રમાણે સરકારના આ પગલાથી અમારા ધર્મના લોકો અને પાદરીઓને ટાર્ગેટ કરવામાં આવશે.

આ પ્રકારની ઘટનાઓ અમે પહેલા પણ જાેતા અને સાંભળતા આવ્યા છીએ. જાે ઈસાઈઓ ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવે છે તો તેમની સંખ્યા આટલી ઓછી શા માટે છે. સરકાર કોઈ ધર્મની પૂજામાં દખલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. લાગે છે કે, મુખ્યમંત્રી પર કટ્ટરપંથી સંગઠનોનું દબાણ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.