કલાપારખુ કલેકટરની રાજકોટ શહેરને કલાત્મક ભેટ-કલા સ્ટેશન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/09/kala2.jpg)
‘‘સોરઠી ડાયરીઝ’’ નું અદભુત મંચન- કલાપારખુ કલેકટરની રાજકોટ શહેરને કલાત્મક ભેટ-કલા સ્ટેશન
રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શહેરને સાંપડેલો સાહિત્યિક સરપાવ
રાજકોટ, રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની કલેકટર કચેરી ખાતે નિર્માણ થયેલા ‘‘કલા સ્ટેશન’’નું લોકાર્પણ કર્યુ હતું.
રાજકોટના તત્કાલિન કલાપારખુ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ‘‘સ્વાન્તઃસુખાય’’ પ્રોજેકટ હેઠળ રાજય સરકારના સહયોગથી કલેકટર કચેરીના પ્રાંગણમાં જ સંપૂર્ણ સુવિધાયુકત ‘‘કલા સ્ટેશન’’ નામના ઓપન એર થીયેટરનું નિર્માણ કરવાના ઓરતા સેવ્યા હતા.
આ પ્રસંગે ‘‘સોરઠી ડાયરીઝ’’ નામના અદભૂત નાટય શોનું આયોજન કરાયુ હતું. જેમાં ઝવેરચંદ મેઘાણીના પાત્રમાં જાણીતા લોકગાયક ઓસમાણ મીર, કવિશ્રી રમેશ પારેખના પાત્રમાં જાણિતા યુવા કવિશ્રી અંકિત ત્રિવેદી, ચારણ કન્યાના પાત્રમાં આર.જે.દેવકી, રાજા ભગવતસિંહજીના પાત્રમાં જાણીતા કટાર લેખકશ્રી જય વસાવડા, તથા ગુજરાતના આદિ કવિશ્રી નરસિંહ મહેતાના પાત્રમાં જાણીતા કલાકારશ્રી ધર્મન જોષીએ કલાનાં અદભૂત કામણ પાથર્યા હતા.
વરસાદી વાતાવરણને અનુલક્ષીને પ્રમુખસ્વામિ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દિપપ્રાગટય કરી ઉદઘાટન કર્યુ હતું. જિલ્લા વહીવટી તંત્ર તરફથી વર્તમાન કલેકટર સુશ્રી રેમ્યા મોહન તથા પૂર્વ કલેકટરશ્રી ડો. રાહુલ ગુપ્તા સહિતના અધિકારીગણે મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્નન આપી અભિવાદન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા તથા અરવિંદભાઇ રૈયાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કમલેશ મિરાણી, અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી અંજલિબેન રૂપાણી, ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઇ ધૃવ, ડે મેયરશ્રી અશ્વિન મોલિયા, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, પૂર્વ કમિ.શ્રી બંછાનિધિ પાની, નિવાસી અધિક કલેક્ટરશ્રી પરિમલ પંડ્યા, ડે કમિ.શ્રી ચેતન નંદાણી તથા ચેતન ગણાત્રા, તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.