કાદવ કિચડમાંથી ચાલીને લોકોના ઘર સુધી પહોંચ્યા મુખ્યમંત્રી
અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂરની પરિસ્થિતિને લઈને સતત એક્શનમાં છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શપથના દિવસે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. અને બીજા દિવસે સૌરાષ્ટ્રના ગામડાઓની મુલાકાત લીધી હતી. જામનગર જિલ્લાના એક ગામના ઘરની મુલાકાત લીધી ત્યારે ઘરની બહાર અને અંદર કાદવ કિચડ હતો છતાં પણ મુખ્યમંત્રી અંદર ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
એરફોર્સ દ્વારા જામનગર જિલ્લામાં ૬ હેલિકોપ્ટરની મદદથી બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બે ફ૫ અને ૪ ચેતક હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ૨૪ જેટલા નાગરિકોને પૂરમાંથી બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી નાગરિકોના બચાવની કામગીરી સેનાના જવાનો દ્વારા આગામી સમયમાં પણ શરૂ રહેશે. ત્યારે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની ચિંતા કરી આશ્રયસ્થાનો તથા અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ તથા જીવન જરૂરિયાતની ચીજાે સાથેની આશરે ૩ હજાર કિટ્સ સ્વયંસેવકોના સહયોગથી મોકલવામાં આવી છે.
રાજ્યમંત્રીએ તેઓ સત્વરે ગાંધીનગરથી જામનગર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.