Western Times News

Gujarati News

કાયદા જેટલા સ્પષ્ટ હશે એટલી જ ન્યાયતંત્રની દખલ ઓછી રહેશેઃ અમિત શાહ

ગુજરાત વિધાનસભા ખાતે લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમમાં અમિત શાહનું સંબોધન

ગાંધીનગર,ગુજરાત વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહીત સંસદસભ્યો, ધારાસભ્યો, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત સરકારની પહેલની સરાહના કરતા કહ્યું હતું કે, લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ એ એક અગત્યની અને મહત્વપૂર્ણ કલા છે. ગુજરાત વિધાનસભા દ્વારા દેશમાં પ્રથમવાર લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ અંગેની તાલીમનું આયોજન કરવાનો નિર્ણય ખરેખર સરાહનીય છે. લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગની કલા એ કોઇપણ કાયદાને ઘડવા માટેનો સૌથી પ્રારંભિક અને મહત્વપૂર્ણ ભાગ છે. ક્ષતિગ્રસ્ત લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગના પરિણામે અનેક જટીલ સમસ્યાઓ ઉદભવે છે અને ન્યાયતંત્રનો હસ્તક્ષેપ વધે છે.

બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવાના પ્રસંગનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે, એ કલમમાં લખાયું હતું કે કામચલાઉ. રાષ્ટ્રપતિ બંધારણની કલમ ૩૭૦ હટાવી શકે છે. લોકસભા અને રાજ્યસભામાં સાદી બહુમતીથી બંધારણની કલમ ૩૭૦ દૂર કરી શકાય છે.ધારાસભ્યોને અનુરોધ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ હતું કે, વિધાનસભા એટલે વિધેયકો પસાર કરીને નાગરિકોના હિત અને રક્ષણ માટે કાયદાની રચના કરવાની સભા. નાગરિકોના પ્રશ્નોને વાચા આપવાનું અને તેમના હિતમાં કાયદો ઘડવો એ જ ધારાસભ્યોનું મુખ્ય કામ છે.

એટલા માટે જ, દરેક ધારાસભ્યોએ કાયદાની ભાષા વ્યવસ્થિત રીતે સમજવી જોઈએ, ચર્ચાઓમાં સહભાગી થઈને કાયદામાં રહેતી ક્ષતિઓને દૂર કરવા પોતાના સૂચનો રજૂ કરવા જોઈએ, તેમ તેમણે ઉમેર્યુ હતું.ગુજરાતના ગૃહ મંત્રી અને ધારાસભ્ય તરીકેના ૧૯૯૭ થી ૨૦૧૭ સુધીના ૨૦ વર્ષના કાર્યકાળના સારા-નરસા સંસ્મરણોને યાદ કરતા અમિત શાહે કહ્યું હતું કે, આ જ વિધાનસભામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની પ્રજાને ૨૪ કલાક વીજળી પૂરી પાડવાનો સંકલ્પ રજૂ કર્યો અને વર્ષ ૨૦૦૩થી જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકીને ગુજરાતના દરેક નાગરિક સુધી ૨૪ કલાક થ્રી ફેઝ વીજળી પૂરી પાડનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું.

કાયદો બનાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પોતાના વિચારો રજૂ કરતા અમિત શાહે ઉમેર્યું હતું કે, કાયદો બનાવતી વખતે તેમાં સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને કાયદામાં જે ઉદ્દેશ્ય કરવામાં આવી રહ્યો છે, તેની સ્પષ્ટતા અને સરળ ભાષાથી ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ઘટે છે. કાયદાની જોગવાઈઓ પણ અમલ કરનારને રક્ષણ આપતી અને ભંગ કરનારને દંડ કરતી હોય તેવી સ્પષ્ટ રાખવી જરૂરી છે. સાથે જ, કાયદો બનાવતી વેળાએ જે તે વિષયના નિષ્ણાત, સંબંધિત અધિકારીઓ અને નાગરિકોના પ્રતિભાવો અને વિચારોને પણ ગંભીરતાપૂર્વક ધ્યાને લેવા જોઈએ, તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, કાયદાના નિયમોને આધિન શાસન વ્યવસ્થામાં કાયદા ઘડતર સાથે સંકળાયેલા અધિકારીઓની સજ્જતા આવશ્યક છે. સ્પષ્ટતા વિનાના જટિલ કાયદા ગૂંચવણો ઊભી કરે છે અને કાર્ય નીતિના અમલમાં વિલંબ થાય છે. આ કાયદાઓ જેમણે તૈયાર કરવાના છે તે અધિકારીઓ અને આપણા સૌની જવાબદારી છે કે આપણે બનાવેલા કાયદા સ્પષ્ટ હોય, અમલમાં મુકવા યોગ્ય અને ન્યાય તથા સમાનતા સાથે સુસંગત હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.