કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના નામે ૨૨ લાખ ખંખેરી લેનારા ૪ સામે FIR

સુરતની સ્કાય મેક્રોન ઇમિગ્રેશન એજન્સી સામે ચાંદલોડિયાના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી
અમદાવાદ,વિદેશ જવાની ઘેલછામાં આવીને અનેક લોકો લાખો રૂપિયા ગુમાવી બેઠા છે તેવામાં આ જ પ્રકારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં સ્કાય મેક્રોન ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવનારા ચાર લોકોએ કેનેડાના વર્ક વિઝા આપવાની લાલચે ચાંદલોડિયામાં રહેતા યુવકના ૨૨ લાખ ખંખેરી લીધા હતા. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાંદલોડિયામાં રહેતા રાજન ગજ્જર ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. થોડા સમય પહેલા તેમણે ફેસબુક પર સ્કાય મેક્રોન ઇમિગ્રેશન નામની એજન્સીની જાહેરાત જોઇ હતી. જે બાદ તેમણે આ એજન્સીનો સંપર્ક કર્યાે હતો.
ત્યારબાદ તે સુરત ખાતેની ઓફિસે ગયા હતા. જ્યાં સ્કાય મેક્રોન ઇમિગ્રેશનના માલિક જેનીલ પ્રજાપતિ, રાજેશ શાહ, અંકિતા મિસ્ત્રી, વિકાસ મિસ્ત્રીને મળ્યા હતા. આ તમામ લોકોએ કેનેડાના વર્ક પરમિટ વિઝા અને કેનેડામાં કેશિયરની નોકરી અપાવવાની લાલચ આપી હતી. ત્રણ માસમાં વિઝા કરી આપવાની લાલચ આપીને ૨૫ લાખ ખર્ચ જણાવ્યો હતો. આરોપીઓએ રાજનભાઇ પાસેથી ૨૨ લાખ મેળવી લઇને બાદમાં ઓપન વર્ક પરમિટ તથા પુત્રની સ્ટડી પરમિટ કઢાવી આપવાની લાલચ આપી હતી. જોકે, આરોપીઓએ નાણાં લઇને કામ ન કરી આપીને ૨૨ લાખની છેતરપિંડી આચરતા સોલા પોલીસે જેનીલ પ્રજાપતિ, રાજેશ શાહ, અંકિતા મિસ્ત્રી, વિકાસ મિસ્ત્રી નામના તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1