કેન્દ્ર કે રાજ્યો એ બનાવેલો કાયદો સુપ્રીમનો તિરસ્કાર ગણાય નહીં તેવા અવલોકન સાથે કોર્ટે અરજી ફગાવી

છત્તીસગઢના સ્પે. પોલીસ ઓફિસરની નિમણૂકના કાયદાને પડકારાયો હતો
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી વી નાગરત્ન અને સતીષ ચંદ્ર શર્માની બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી
નવી દિલ્હી,કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા બનાવેલા કાયદાને સુપ્રીમ કોર્ટનો તિરસ્કાર ગણી શકાય નહીં, તેવા અવલોકન સાથે કોર્ટે અરજી ફગાવી દીધી હતી. દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર તથા સમાજવાદી નંદિની સુંદર તથા અન્યોએ ૨૦૧૨ના વર્ષમાં કન્ટેમ્પટની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી વી નાગરત્ન અને સતીષ ચંદ્ર શર્માની બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી. છત્તીસગઢ સરકારે ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું પાલન ન કર્યું હોવાના દાવા સાથે કન્ટેમ્પ્ટ અરજી થઈ હતી. અરજીમાં દાવો થયો હતો કે, માઓવાદીઓ સામે લડવા માટે સરકારે સાલ્વા જુડુમ અને આદિવાસીઓને શસ્ત્રો આપ્યા છે અને આ કામગીરીને સ્પેશિયલ પોલીસ ઓફિસર તરીકે ઓળખાવવામાં આવે છે.
છત્તીસગઢ સરકારે કાયદો બનાવીને સ્પેશિયલ પોલીસ ઓફિસરની નિમણૂક કરી છે અને તેમને માઓવાદી-નક્સલવાદીઓ સામે લડવા સશસ્ત્ર દળોની મદદમાં તૈનાત કરાયા છે. છત્તીસગઢે આ કાયદો બનાવીને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ભંગ કર્યાે હોવાનો દાવો થયો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ પાસેથી હથિયાર પરત ખેંચી લેવા અને તેમનો ઉપયોગ નહીં કરવા નિર્દેશ આપ્યા હતા. બાદમાં સરકારે છત્તીસગઢ ઓક્સીલરી આર્મ્ડ પોલીસ ફોર્સ એક્ટ, ૨૦૧૧ને વિધાનસભામાં રજૂ કરી કાયદો પસાર કરાવ્યો હતો. આ કાયદો પસાર થયો તે અગાઉ હાઈકોર્ટે સ્પેશિયલ પોલીસ ઓફિસરની ભરતી સામે નિર્દેશ આપ્યા હતા. જો કે સરકારે કાયદો બનાવી કોર્ટના ચુકાદાનો ભંગ કર્યાે હોવાના આક્ષેપ સાથે અરજી થઈ હતી. અદાલતે ઠરાવ્યુ હતું કે, બંધારણીય સંસ્થાઓના સાર્વભૌમત્વ વચ્ચે સંતુલન રહેવું જોઈએ. SS1