કોઈપણ મહામારીની ૧૦૦ દિવસમાં વેક્સિન બની જશે
લંડન: બ્રિટનમાં જાહેર થયેલ વિશ્વની સાત સૌથી મોટી અર્થ વ્યવસ્થાવાળા દેશોના જી-૭ સમિટમાં આજે એક મોટી જાહેરાત થવાની છે. આ તમામ દેશો કોરોના વાયરસ રોગચાળાના ભયાનક વિનાશને જાેયા બાદ ભવિષ્યના એક્શન પ્લાનને વિશ્વની સામે મૂકવાના છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મહામારીની રસીને વિકસિત કરવા માટે આવશ્યક સમયને ૧૦૦ દિવસથી પણ ઓછો કરવાનો છે. કોરોના વાયરસ રોગચાળા દરમિયાન વિશ્વને તેની પ્રથમ રસી મેળવવા માટે લગભગ ૧૦ મહિના રાહ જાેવી પડી હતી.
અહેવાલો અનુસાર જી-૭ના નેતાઓ શનિવારે વિશેષ સત્ર બાદ કાર્બિઝ બે ડિક્લેરેશન જાહેર કરશે. આના માધ્યમથી કોરોના વાયરસ રોગચાળાને કારણે થતી આર્થિક અને માનવતાવાદી વિનાશના પુનરાવર્તનને રોકવાના પ્રયાસ માટે એક યોજના બનાવવામાં આવશે. અમેરિકાની જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે આ રોગચાળાની શરૂઆતથી ૩૮,૦૦,૦૦૦ લોકોનાં મોત નીપજ્યાં છે. જી-૭ દેશોના આ ડિક્લેરેશનમાં ભવિષ્યમાં પેદા થતી મહામારી સામે નક્કર પગલા ભરવાના તમામ ઉપાયો હશે.
જેમાં ભવિષ્યમાં કોઈપણ રોગની રસી, ઉપચાર અને ડાયગ્નોસ્ટિક્સ વિકસાવવા અને લાઇસન્સ આપવા માટેનો સમય ઘટાડીને ૧૦૦ દિવસથી ઓછો કરવાનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય ગ્લોબલ સર્વેલન્સ નેટવર્ક અને જીનોમ સિક્વેન્સિંગની ક્ષમતામાં વધારો પણ શામેલ કરવામાં આવશે. આ તમામ દેશો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં સુધારો અને તેને મજબુત બનાવવાની દરખાસ્ત કરશે.
શુક્રવારે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને વૈશ્વિક અસમાનતાને દૂર કરવાના પ્રસ્તાવ સાથે શિખર સંમેલનની શરૂઆત કરી હતી. પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં તેમણે કહ્યું હતું કે વિશ્વને ૨૦૦૮ના નાણાકીય સંકટની ભૂલોથી શીખવાની અને અસમાનતાના ડાઘોને નિવારવાની સખત જરૂર છે. શુક્રવારે પ્રથમ દિવસની બેઠક પછી જી-૭ના બધા નેતાઓ બ્રિટીશ ક્વીન એલિઝાબેથ દ્વિતિયના મહેલમાં ડિનર માટે પહોંચ્યા હતા.