કોડીનાર પંથકમાં ૪પ હજાર થાંભલા ઉભા કરવાની કપરી કામગીરી
ગ્રામ્ય પંથકમાના રહેણાકમાં તો વીજ પુરવઠો ચાલુ,ખેતીવાડીમાં મુશ્કેલી
કોડીનાર, વાવાઝોડાના કારણે ર૯ દિવસ બાદ ગિર સોમનાથના ગિરગઢડા, કોડીનાર અને ઉનાના ખેતીવાડી વિસ્તારો વીજળી વિહોણા છે. વીજળી ન હોવાના કારણે ખેડૂતોના પાક ૭૦ ટકા સુકાયા છે. ખેડૂતો હવે પાકને બચાવવા મરણીયા બન્યા છે. અનેક ખેડુતો જનરેટર લાવી પોતાના પાકને બચાવવા જહેમત કરી રહ્યાં છે. તો બજી તરફ પશુઓને ચારો અને પાણી આપવું મુશ્કેલ બન્યું છે.
કોડીનારથી જાફરાબાદ સુધી ચારે તરફ વાવાઝોડાએ તબાહી જ તબાહી નોતરી હતી. તોતિંગ વૃક્ષ હોય કે ખેડૂતોના પાક, મોબાઈલ ટાવર હોય કે વીજ વિભાગનો પોલ, બધું જ જમીનદોસ્ત થયું. તેમાં ખાસ કરી વીજ વિભાગને માઠી અસર પહોંચી, જેનાં કારણે કોડીનારથી જાફરાબાદ સુધીનાં ગામડાઓમાં અંધારપટ છવાયો હતો.
જાે કે વીજ વિભાગની ટીમની રાત દિવસની મહેનતનાં કારણે ગામડાઓને વીજળી મળી ગઈ પરંતુ હવે મોટી સમસ્યા ઉભી થઈ છે. પશુપાલકો અને ખેડૂતો માટે. ખેડૂતોને પોતાના ખેતરમાં બચેલા પાકને પાવા કે પશુને પાવા માટે પાણી નથી પરંતુ ખેડૂતો અને પશુપાલકો માટે નવી સમસ્યા એ ઉભી થઈ છે કે હવે પાકને પાણી વિના કેવી રીતે બચાવીશું?
ધરાશાયી થયેલા થાંભલાની સંખ્યાને લઈને અંદાજ લગાવી શકાય કે ખેતીવાડીની વીજળી ક્યારે શરૂ થશે. હાલ તો ખેડૂતો પોતાના પશુઓને બચાવવા કૂવામાંથી સીંચી પાણી આપી રહ્યાં છે. પરંતુ હવે પાકને કેમ બચાવવો તે મોટો સવાલ છે.
વાવાઝોડામાં બચેલો પાક પણ વીજળીના અભાવે ન બચી શક્યો પરંતુ પશુનો ચારો પણ નાશ પામી રહ્યો છે.
એટલું જ નહીં પશુને પાણી અને ચારો ક્યાંથી આપવો એ મોટો સવાલ છે.સમગ્ર મામલે ઉના વીજ વિભાગ કાર્યપાલક ઈજનેરનું કહેવું છે કે ગ્રામ્ય અને વાડી વિસ્તારના ૬૦ હજાર પોલ અને ૧૧ હજાર ટ્રાન્સફોર્મર ધરાશાયી થયાં છે. અમે જ્યોતિગ્રામ શરૂ કરી દીધી છે. હવે અમારૂં સમગ્ર ફોકસ વાડી વિસ્તાર છે. લગભગ ૪પ હજાર થાંભલા ઉભા કરવાના છે.