કોરોનાથી નહિ અમને વતન નહિ જવા દેવાય તો ભૂખથી મરી જઈશું :શામળાજી પાસે યુ.પી અને એમ.પીના શ્રમિકો અટવાયા
લૉકડાઉન નો ત્રીજો તબક્કો ચોથી મેના રોજ અમલી બનશે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને પરપ્રાંતીય મજૂરો ને તેમને વતન પહોંચાડવા માટે વ્યવસ્થા ગોઠવવાનો આદેશ કર્યો છે. આ અનુસંધાને ગુજરાત સરકાર પ્રરપ્રાંતીય મજૂરોની નોંધણી કરીને તેમને વતન જવાની વ્યવસ્થા કરી રહી છે. આ માટે સુરત અને અમદાવાદથી ખાસ ટ્રેન પણ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં અનેક પરપ્રાંતીય શ્રમિકો પગપાળા અને માલવાહક વાહનો મારફતે રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ કરવા શામળાજી નજીક આવેલી રતનપુર આંતરરાજ્ય સરહદ પર પહોંચતા રાજસ્થાન પ્રશાસન તંત્રએ રાજસ્થાન સિવાયના તમામ શ્રમિકોને અટકાવી દેતા અને શ્રમિકોની હાલત “જાયે તો કહા જાયે” જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અરવલ્લી જિલ્લા તંત્રે પણ શ્રમિકો જે જગ્યાએ થી આવ્યા હોય તે જગ્યાએ પરત જવાનો આદેશ કર્યો હોવાથી પરપ્રાંતીયોની હાલત દયનિય બની છે
શામળાજી નજીક પગપાળા અને ટ્રક, ટેમ્પો જેવા વાહનોમાં વતન જવાની ઉતાવળમાં રતનપુર ચેકપોસ્ટ અટવાયેલા શ્રમિકોએ બંને રાજ્યોના પ્રશાસન તંત્રને આજીજી કરતા લાચાર જણાતા હતા. રાજસ્થાન પ્રશાસન તંત્રે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ રાજ્યની સરહદો સીલ હોવાથી રાજસ્થાનના શ્રમિકો સિવાય અન્ય રાજ્યના શ્રમિકોને પ્રવેશતા અટકાવતા શ્રમિકોની હાલત દયનિય બની છે પગપાળા વતન જવા નીકળેલા નાના ભૂલકાંઓ અને પત્ની સાથે નીકળેલા શ્રમિક પરિવારો “કોરોનાથી નહિ અમને વતન નહિ જવા દેવાય તો ભૂખ થી મરી જઈશું” જણાવી રહ્યા છે
પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે સંકલનના અભાવને પગલે મજૂરો અટવાયા છે.શામળાજી રતનપુર આંતરરાજ્ય સરહદ પર સવારથી જ લોકો ચાલતા, સાઇકલ કે વાહન પર સાવાર થઈને પહોંચી રહ્યા હતા. બીજી તરફ સરહદ પર જે લોકોને મંજૂરી મળી હતી તેમને જ અંદર લેવામાં આવતા હતા.શ્રમિકોની એક જ માંગણી છે કે ઉત્તર પ્રદેશ સરકાર બહુ ઝડપથી તેમને અહીંથી લઈ જાય.હાલ પૂરતી પોલીસ તરફથી લોકોના આ લોકોએ તડકામાં ન રહેવું પડે તે માટે મંડપ બાંધીને છાંયડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.