કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં ભયાનક લૂ લાગવાની આશંકા

અમદાવાદ, ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને રાજ્યમાં જાહેર કરાયેલા લોકડાઉનના પગલે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે આગામી સમયમાં રાજ્યભરમાં ભયાનક લૂ લાગવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સમયમાં તાપમાનનો પારો હજી પણ ઉપર જોવા મળે તેવી સંભાવના છે.
આજથી ગુજરાતમાં ભયાનક લૂ લાગવાની આશંકા સેવાઇ રહી છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં લૂના કારણે આવનારા ૪-૫ દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ૧૦ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી વધારે નોધાયું છે. જેમાં રાજ્યના સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ૪૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આકરા તાપ અને ગરમ પવનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી વધી છે.
જ્યારે ૩૦ મેની આસપાસ અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર એરિયા સર્જાઇ શકે છે. આ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને ૩ જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદની શક્યતા છે.