કોરોનાના સંકટગ્રસ્ત સમયમાં તબીબોએ સંકટમોચનની ભૂમિકા અદા કરી છે:-આરોગ્ય મંત્રી
ડોક્ટર સેલના તબીબો અને કાર્યકર્તાઓએ પણ રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રહીને જરૂરિયાત મંદોની સેવા- સુશ્રુષા કરી:
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા રાજ્યના તબીબો માટે પ્રશિક્ષણ શિબિર નું અમદાવાદ ખાતે આયોજન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશ વ્યાપી પ્રાકૃતિક ખેતીની મુહિમમા રાજ્યના ખેડૂતોને પણ જોડાવવા અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રી
ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા આયોજિત તબીબ પ્રશિક્ષણ શિબિરમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,ભારતીય જનતા પાર્ટી સૌના સાથ અને સૌના વિકાસ સાથેની કાર્યપદ્ધતિ સાથે કાર્યરત પાર્ટી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વે કાર્યકર્તાઓમાં હંમેશા જુસ્સો વધારીને વિકાસની નવી રાહ ચીંધી છે.
કોરોનાની કપરી પરિસ્થિતિઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ખાસ કરીને ડોક્ટર સેલના મિત્રોએ જનકલ્યાણ અને લોકસુરક્ષાની શ્રેષ્ઠ કામગીરી કરી છે.
આ મહામારીમાં રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રહીને તબીબોના અથાગ પરિશ્રમના પરિણામે જ આજે કોરોનાની બીજી લહેરમાંથી પણ સુકૃત રીતે બહાર આવીને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ મેળવવામાં સરકાર સફળ રહી છે.
કોરોનાની સંભવીત ત્રીજી લહેર માટે આગોતરું આયોજન હાથ ધરીને તેનો સામનો કરવા માટે સરકાર સજ્જ હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કોરોનાના ઘાતક પરિણામોથી બચવા અને તેના સંક્રમણને ટાળવા સરકારી દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને અનુરોધ કર્યો હતો.
પ્રવર્તમાન સમયની માંગ આધારિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી તરફ લોકો પ્રેરાય અને રાસાયણીક ખાતરોને ત્યજીને પ્રાકૃતિક ખેત પધ્ધતિ તરફ પાછા વળે તે માટેની મુહિમ હાથ ધરી છે.
સાવચેતી એ જ સલામતીના ભાગરૂપે સમતોલ આહાર મેળવવા અને આરોગ્યપ્રદ સ્વાસ્થ્યની ચેતના કરતા લોકો માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવીને રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા મુખ્યમંત્રીશ્રીએ પણ આહ્વાન કર્યું હતું.
પ્રાકૃતિક ખેત પદ્ધતિ આધારિત ઉત્પાદન કરતા ખેડૂતોના ઉત્પાદન ની માર્કેટિંગ ચેઇન ઉભી કરવાની દિશામાં સરકાર વિચારણાઘિન છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજ્યમાંથી ૫૦૦૦ કરોડ રૂપિયાની માતબર રકમની સબસીડી રાસાયણિક ખાતર માટે આપવામાં આવે છે પ્રાકૃતિક ખેતીનો વપરાશ વધતાં આ સબસીડી નો રાજ્યમા અન્ય કોઈ કામ માટે ઉપયોગમાં લઈ શકાય તેવો ભાવ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય આયુષ મંત્રાલય ના મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ જનહિત લક્ષી કામગીરી, આગામી વિઝન લોકો સમક્ષ રજૂ કર્યો હતો.
તેઓએ તાજેતરમાં જ જનકલ્યાણ ના વિવિધ વિષયો કેન્દ્ર સ્થાને રાખીને સંસદમાં મૂકવાંમા આવેલા વિવિધ બિલ નો પણ ઉલ્લેખ કર્યો હતો.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી આજે દેશમાં કુપોષણ, ભૂખમરા ઇન્ડેક્સમાં સુધારો આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેવાડાના માણસના સ્વાસ્થ્યની દરકાર કરીને દૂર-સુદૂર અને આંતરિયાળ વિસ્તારોમાં પ્રેક્ટિસ કરતા તબીબો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવા બદલ પાર્ટીના ડોક્ટર સેલને અભિનંદન પાઠવ્યા હતા.
તેઓએ સંકટગ્રસ્ત સમયમાં તબીબોની સંકટમોચનની ભૂમિકા રહી હોવાનું જણાવી કોરોના કાળમાં તેની પ્રતીતિ થી થઈ હોવાનું ઉમેર્યું હતું.
તેમણે તબીબી વ્યવસાયને આર્થિક ઉપાર્જનનું નહીં પરંતુ સેવાનું પ્રોફેશન હોવાનું ભારપૂર્વક કહ્યું હતું.
કોરોના કાળમાં હેલ્થ વર્કર્સ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, સંજીવની અને 108ના પાયલટ અને ફાર્માસિસ્ટ મિત્રોના સહિયારા પ્રયાસથી જ કોરોનાની ઘાતક બીજી લહેર પર નિયંત્રણ મેળવવામાં સરકાર સફળ રહી છે તેમ ઉમેર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં પ્રતિવર્ષ ૫૬૦૦ જેટલા તબીબો તૈયાર થાય તે પ્રકારનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવી રાજ્યની મેડીકલ કોલેજો, અંડર ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પણ પ્રવર્તમાન સંજોગો અને સમય આધારિત ફેરફાર કરવામાં આવી રહ્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે રાજ્યની વિવિધ હોસ્પિટલ અને મેડિકલ કોલેજોને NABH અને JCIના માપદંડો આધારિત વ્યવસ્થા ગોઠવીને રાજ્યની જ નહીં પરંતુ દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
તેઓએ આ પ્રસંગે ખાસ કરીને ફાર્મસી કાઉન્સિલના ચાર હજાર જેટલા કે ફાર્માસિસ્ટ જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં સરકારના સેવાયજ્ઞમાં સ્વૈચ્છિક રીતે જોડાવાની તૈયારી બતાવી છે તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી ભારતીબેન શિયાળે આજની પ્રશિક્ષણ શિબિર દ્વારા ડોક્ટર્સના જ્ઞાન અને સ્કીલમાં વધારો થશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
તેમણે દેશભરમાં 10 લાખ કાર્યકર્તાઓની ટીમ કે જેમાં સક્ષમ તબીબોનો પણ સમાવેશ થાય છે તેમને કોરોના ની સંભવીત ત્રીજી લહેરો અને ઘાતક પરિણામોનો સામનો કરવા માટે ભા.જ.પા. દ્વારા તૈયાર કરવામાં આવી હોવાનું પણ કહ્યું હતું.
sઆ પ્રશિક્ષણ શિબિરમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીશ્રી નિમિષાબેન સુથાર, અમદાવાદ પશ્ચિમ ના સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, ડોક્ટર સેલના કન્વીનર શ્રી ધર્મેન્દ્રભાઈ ગજ્જર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.