કોરોના ઈફેક્ટ: અડધુ મુંબઈ બંધઃ રસ્તાઓ સુમસામ

મુંબઈ, સમગ્ર વિશ્વમા કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ભારતમાં કોરોનાના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધીને ૧૭૧ની થઈ છે. સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. કુલ દર્દીઓની સંખ્યા ૪૫ની થઈ છે. કોરોનાના ખોફથી અડધુ મુંબઈ બંધ થઈ ગયુ છે અને માર્ગો સુમસામ જણાય રહ્યા છે. મુંબઈમાં આજથી ૫૦ ટકા બજાર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીએમસી નક્કી કરશે કે કઈ બજાર ક્યારે ખુલશે ? એટલે કે આજથી ૫૦ ટકા બજાર બંધ રહેશે એટલે કે એક દિવસે એક બજાર બંધ રહેશે તો બીજા દિવસે બીજી કોઈ બજાર બંધ રહેશે. જેમા શોપીંગ સેન્ટર અને નાની દુકાનો પણ સામેલ છે. આ પગલુ મુંબઈના રસ્તાઓ ઉપર ભીડ ઓછી કરવા માટે લેવામા આવ્યુ છે. આનાથી માર્ગો પર લોકોની ભીડ ૫૦ ટકા થઈ જશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટ્રેનો, બસોમાં પણ યાત્રિક ક્ષમતાને ઘટાડવામાં આવેલ છે. ૫૦ ટકા લોકોના હિસાબથી જ મુંબઈમાં બસો અને ટ્રેનો ચાલશે. બીએમસી બજાર ખોલવાના મામલે એક પરિપત્ર પર કામ કરી રહેલ છે. જેમાં નક્કી થશે કે ક્યા રસ્તા પર કઈ બજાર, દુકાનો, સેન્ટર બંધ રાખવામાં આવશે. જે અનુસાર કેટલીક દુકાનો સવારે તો કેટલીક બપોરે ખુલશે.
કોરોનાથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર એલર્ટ છે. સ્કૂલ, કોલેજ, જીમ, સ્વીમીંગ પૂલ, સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા છે. પબ, ડીસ્કોથેક, ડાન્સબાર, લાઈવ ઓરકેસ્ટ્રા બાર અને ડીજે મ્યુઝીક ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. જાહેર સ્થળ પર થુંકવા પર ૧૦૦૦નો દંડ લાગશે. ઓફિસોમાં ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આદેશો અપાયા છે. સરકારી ઓફિસોમાં પણ ૫૦ ટકા કર્મચારીઓને કામ કરવા જણાવાયુ છે.
નેશનલ રેસ્ટોરન્ટ એસોસીએશન હેઠળ આવતી રેસ્ટોરન્ટ પણ બંધ કરાય છે. ફળો, શાકભાજી અને અનાજ સપ્લાય કરતી એપીએમસી બજાર સપ્તાહમા બે દિવસ બંધ રહેશે. બધા પર્યટન સ્થળ બંધ કરી દેવાયા છે. મુંબઈમાં આ બધા નિર્દેશો ૩૧ સુધી અમલી રહેશે. મુંબઈમાં કોરોનાનો ખોફ જોવા મળી રહ્યો છે. બજારો સુમસામ જોવા મળી રહી છે. વેપારીઓ નવરાધૂપ બેઠા છે. ગોદામોમાં સામાન પડયો છે પરંતુ ખરીદનારા નથી. આયાત-નિકાસ ઠપ્પ છે. બધી બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. વેપારીઓને ખબર નથી કે ક્યારે સ્થિતિ સામાન્ય બનશે. વેપારીઓ ગભરાય રહ્યા છે.
શેરબજાર હોય કે સોનાચાંદી હોય બધામાં કોરોનાની અસર પડી છે. શેરબજારના ઘટાડાથી ઝવેરીબજારની સાથે પ્રોપર્ટી બજાર પણ ધ્વસ્ત થઈ ગયુ છે. હોટલોમાં કોઈ ગ્રાહક આવતુ નથી. ફાઈવ સ્ટારથી લઈને સામાન્ય હોટલો ખાલી દેખાય રહી છે. હોટલોને રોજનુ ૧૦૦ કરોડનું થઈ રહ્યુ છે. ટેકસી સેવા પણ બંધ જેવી છે. ૨૫૨૦૦ના પૈડા થંભી ગયા છે. રોજ ૧૨૫ કરોડનુ નુકશાન થઈ રહ્યુ છે. એરલાઈન્સ પણ બંધ થઈ ગઈ છે. એરપોર્ટ પર મુસાફરો નહિવત જોવા મળી રહ્યા છે. પર્યટકો નહી આવતા ખાણીપીણીના સ્ટોલ પણ ખાલીખમ છે. મહામારીએ ફુટપાથ પર બેસી વેચનારા લોકોને પણ નુકશાન પહોંચાડયુ છે. ક્રોફર્ડ માર્કેટ, દાદર, શિવાજી પાર્ક, ચર્ચગેટ સ્ટેશનથી પણ હોકર્સ ગાયબ છે. લોકલ ટ્રેનોમા ભીડ ઓછી જણાય રહી છે.