કોરોના રસીકરણ અભિયાનને રાજનીતિથી દૂર રાખવું જાેઈએ
નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યોમાં ફરી કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો એક દિવસમાં ૧૦ હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન કેન્દ્રિય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં હવે કોરોનાની મહામારી ખતમ થવા જઈ રહી છે. રસીકરણ પાછળના વિજ્ઞાન પર વિશ્વાસ રાખવાની જરૂર છે, કોરોનાની મહામારી ખતમ થવા જઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોરોના વાયરસના રસીકરણ અભિયાનને રાજનીતિથી દૂર રાખવું જાેઈએ. આ રસીકરણ સાથે જાેડાયેલા વિજ્ઞાન પર વિશ્વાસ રાખવો જાેઈએ.
કેન્દ્રિય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને રવિવારે ધર્મશિલા નારાયણ હોસ્પિટલના સહયોગથી આયોજિત દિલ્હી મેડિકલ એસોસિએશનના ૬૨મા વાર્ષિક દિલ્હી રાજ્ય મેડિકલ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે દેશમાં હવે કોરોનાની ૨ કરોડ કરતા વધારે રસી લગાવવામાં આવી છે અને રસીકરણ દર વધીને પ્રતિદિન ૧૫ લાખ થયો છે. તેમણે કહ્યું કે બીજા દેશોની સરખામણીમાં આપણે કોરોના વાયરસની રસીને ઝડપથી સપ્લાય કરી છે અને તે સુરક્ષિત છે. તેની અસરકારકતા પણ સાબિત થઈ ચૂકી છે.
ભારતમાં કોરોનાની મહામારી હવે ખતમ થવા તરફ જઈ રહી છે. આ તબક્કામાં સફળતા મેળવવા માટે આપણે ૩ પગલા લેવાની જરૂર છે. કોરોનાના રસીકરણના અભિયાનને રાજનીતિથી દૂર રાખો અને કોરોના વાયરસની રસી સાથે જાેડાયેલા વિજ્ઞાન પર ભરોસો રાખો અને આપણા પ્રિયજનોને સમયસર રસી મળી જાય તેનું ધ્યાન રાખો.