કોવિડ વેક્સિનના ત્રીજા ડોઝની તૈયારીમાં સરકાર
નવી દિલ્હી, ભારત ટૂંક સમયમાં કોરોના વેક્સીનના ત્રીજા ડોઝ માટે નીતિ તૈયાર કરી શકે છે. આ મુદ્દે વાતચીતને લઈને આવતા અઠવાડિયે એક મોટી બેઠક યોજાવાની છે. આ મામલાની જાણકારી આપનારા એક ટોચના અધિકારીએ માહિતી આપી છે. હકીકતમાં, દેશમાં કોરોના રસીના ત્રીજા ડોઝને લઈને એક એક્સપર્ટ ગ્રુપ નીતિ તૈયાર કરવા પર કામ કરી રહ્યું છે.
ત્રીજા વેક્સીન ડોઝની માત્રા શરૂઆતમાં બૂસ્ટર ડોઝને બદલે વધારાના ડોઝ તરીકે કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેમને વધારાનો ડોઝ આપવામાં આવે છે, જ્યારે બૂસ્ટર ડોઝ તંદુરસ્ત લોકોને રસીના બીજા ડોઝના થોડા મહિના પછી આપવામાં આવે છે.
જે લોકો કોઈપણ બીમારીને કારણે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે તેઓ સામાન્ય બે ડોઝ પ્રોગ્રામ દ્વારા સંપૂર્ણપણે સુરક્ષિત નથી. તેથી આવા લોકોને વધારાનો ડોઝ આપવાની તૈયારી છે. તંદુરસ્ત લોકો માટે બૂસ્ટર ડોઝ પછીથી શરૂ કરી શકાય છે.
ગયા ઓક્ટોબરમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એક પેનલે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે વધારાના ડોઝની ભલામણ કરી હતી. તમને જણાવી દઈએ કે દેશમાં પહેલીવાર કોરોના વેક્સીનના બે ડોઝ લેનારા લોકોની સંખ્યા એક ડોઝ લેનારની સંખ્યાને વટાવી ગઈ છે.
હાલમાં, દેશમાં ૩૮ કરોડ લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે એટલે કે તેમને રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. તો અત્યાર સુધીમાં ૩૭.૫ કરોડ લોકોએ એક ડોઝ લીધો છે.
દેશમાં અત્યાર સુધીમાં ૧૧૫ કરોડથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી ૭૫,૫૭,૨૪,૦૮૧ પ્રથમ ડોઝ અને ૩૮,૧૧,૫૫,૬૦૪ બીજા ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાના બૂસ્ટર ડોઝને લઈને હજુ પણ ડોક્ટરો અને વૈજ્ઞાનિકો વચ્ચે મતભેદ જાેવા મળે છે.
શું ભારતમાં હવે બૂસ્ટર ડોઝ આપી શકાય છે આના પર દિલ્હી એઇમ્સના ડોક્ટરે મહત્વની વાત કહી છે. એક ડોક્ટરે કહ્યું કે, હાલ ભારતમાં બૂસ્ટર શોટ આપવાનું જાેખમ ન ઉઠાવી શકીએ કેમકે ભારતમાં ફક્ત ૩૫ ટકા લોકોએ જ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે.SSS