ખાટલામાં બેસવા બાબતની તકરારમાં બે સગા ભાઇઓએ યુવકની હત્યા કરી

શહેરમાં વધુ એક હત્યા કરાઈ
આ મામલે શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી બન્ને ફરાર સગા ભાઇઓની શોધખોળ આદરી છે
અમદાવાદ,શાહીબાગ વિસ્તારમાં ખાટલામાં બેસવાની તકરારમાં બે ભાઇઓએ યુવક પર ખંજર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બીજી તરફ હુમલા બાદ બન્ને પલાયન થઇ ગયા હતા. આ મામલે શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી બન્ને ફરાર સગા ભાઇઓની શોધખોળ આદરી છે. શાહીબાગ વિસ્તારમાં ૨૨ વર્ષિય ચિરાગ દિનેશભાઇ સરસાવા પોતાના પરિવાર સાથે રહે છે અને તેની પત્ની ગર્ભવતી હોવાથી તે પિયર ગયેલી છે. ૩ જૂનના રોજ સવારે નવ વાગ્યે ચિરાગ પોતાના કામ માટે ગયો હતો. બપોરે જમવા માટે ઘરે આવ્યો હતો અને જમી તે ઘરની બહાર નિકળ્યો હતો અને તેના મિત્ર મનોજને મળ્યો હતો. તેઓ રસ્તામાં ઊભા રહી વાત કરતા હતા અને ત્યાં તેઓ થાકી જતા ત્યાં જયશંકરભાઇના ગલ્લા પાસે ગયા હતા અને ત્યાં ખાટલો પડ્યો હોવાથી તે પાથરી બેસવા જતા હતા.
ત્યારે જયશંકરભાઇની પત્ની આશાબહેને કહ્યું હતું કે, ખાટલો તૂટેલો છે જેથી બેસતા નહીં. આટલું કહ્યા બાદ તેમના વચ્ચે બોલચાલ થઇ હતી. આ સમયે આશાબહેનના દીકરા અનુજ અને મનોજ આવી ગયા હતા અને ચિરાગને માર મારવા લાગ્યા હતા. તેમણે ચિરાગને લાકડી વડે ફટકાર્યાે હતો. ઉપરાંત અનુજે ચિરાગને પકડી રાખ્યો હતો. જ્યારે મનોજ દુકાનમાં જઇ ક્યાંકથી ખંજર લઇ આવ્યો હતો અને ચિરાગ પર તૂટી પડ્યો હતો. આ સમયે બૂમાબૂમ થતા ચિરાગનો પરિવાર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારે ચિરાગ લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યો હતો. ત્યારબાદ ૧૦૮ મારફતે ચિરાગને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ચિરાગનું મોત નિપજ્યું હતું. આ મામલે ચિરાગના ભાઇ વિશાલ સરસાવાએ શાહીબાગ પોલીસ મથકમાં અનુજ જયશંકરભાઇ કુરીલ અને મનોજ જયશંકરભાઇ કુરીલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1