Western Times News

Gujarati News

ખાદી ઉદ્યોગ સાથે જોડાયેલા ૧ર હજારથી વધુ ગ્રામીણ લોકોને આર્થિક આધાર મળશે

File

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ર ઓકટોબરે રાજ્યમાં ખાસ ગ્રામસભાઓનું આયોજન રાજ્યની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં કરવામાં આવશે.

‘અમૃત ૨.૦ મિશન’માં રાજ્યના તમામ નગરોમાં પાણી પુરવઠા તથા ૩૧ ‘અમૃત શહેરો’માં ભૂગર્ભ ગટર યોજનાના કામો હાથ ધરાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગામી ગાંધી જયંતિથી પ્રારંભ થનારા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન કલીન ઇન્ડીયા અને ‘અમૃત ૨.૦ મિશન’ના અભિયાનના ગુજરાત રાજયમાં આયોજનને આખરી ઓપ આપ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓએ આ આયોજનની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.
પ્રવકતા મંત્રીશ્રીઓએ કહ્યું કે, મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત સ્તરે મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી ર ઓકટોબરે રાજ્યભરની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠાના પાલનપૂર તાલુકાની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે તેમ પણ મંત્રીશ્રીઓએ ઉમેર્યુ હતું.

વડાપ્રધાનશ્રી સવારે ૧૧ કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને તેનું જીવંત પ્રસારણ તમામ ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં થશે એવું આયોજન રાજ્યના પંચાયત-ગ્રામવિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર-ર૦રર સુધીમાં જલ જીવન મિશનનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

રાજ્યમાં ૯ર.૯ર લાખ ઘરો સામે ૮૧.૪૧ લાખ ઘરો એટલે કે ૮૭.૬ ટકા ઘરોનું નળ જોડાણ પૂર્ણ થઇ ગયુ છે, બાકી રહેલા ઘરોમાં આગામી ૧ વર્ષમાં જોડાણ પૂર્ણ કરાશે તેમ તેમણે કહ્યું હતું.

ગ્રામસભાઓમાં જે એજન્ડાનો સમાવેશ થયો છે તેની વિગતો આપતાં પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, વિલેજ એકશન પ્લાન, હર ઘર જલ, પાણીના ઉપલબ્ધ સ્ત્રોત, પાણી સમિતી પાણીની ગુણવત્તા વગેરે અંગે પણ ચર્ચા-વિમર્શ અને માર્ગદર્શન અપાશે.

તેમણે જણાવ્યું કે, પૂજ્ય બાપૂના ‘સ્વચ્છતા ત્યાં પ્રભૂતા’ના સંદેશને આત્મસાત કરતાં સમગ્ર દેશમાં જે કલીન ઇન્ડીયા કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે તેનો પણ ગુજરાતના વિવિધ ગામો-નગરોમાં જનભાગીદારીથી પ્રારંભ કરાશે.
તદઅનુસાર, ગ્રામસભાઓમાં જલ જીવન મિશન, સ્વચ્છતા અંગે જનજાગૃતિ, કોવિડ-19 વેક્સિનેશન માટે જનજાગૃતિ અને વતનપ્રેમ યોજના સહિત ૧પમાં નાણાપંચની કુલ રૂ. ૫૫૫૭ કરોડની ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો અંગે માર્ગદર્શન અપાશે.

કલીન ઇન્ડીયા કાર્યક્રમ અન્વયે ગ્રામ્યકક્ષાએ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી રોગનિવારક પગલાં, સમગ્ર ઓકટોબર મહિના દરમ્યાન દરેક ગામોમાં સફાઇ ઝૂંબેશ મહાઅભિયાન હાથ ધરવામાં આવશે તેની પણ વિસ્તૃત છણાવટ પ્રવકતા મંત્રીશ્રીઓએ કરી હતી.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યના દરેક ગામો, નગરો અને શહેરોમાં તા.૧ થી ૩૧ ઓકટોબરના સમગ્ર માસ દરમ્યાન ‘સ્વચ્છ ભારત – સુંદર ભારત’ના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરતા સ્વછતા-સફાઇના કામો મોટાપાયે જનભાગીદારીથી હાથ ધરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, કચરાના ડોર-ટુ-ડોર એકત્રિકરણ ઝૂંબેશ દ્વારા જિલ્લા દીઠ અંદાજિત એવરેજ ૧૧ હજાર કીલો કચરો, ગામ દીઠ અંદાજિત એવરેજ ૩૦ કિલો કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

તા. ૧ લી અને ર ઓકટોબરે રાજ્યમાં શાળા, કોલેજ, એન.એસ.એસ છાત્રો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સરકારના અધિકારી-કર્મચારીઓ જાહેર સ્થળોએ સફાઇ ઝૂંબેશ, પ્લોગીંગ ડ્રાઇવ ઉપાડશે. એટલું જ નહિ, મહાનગરો અને નગરોમાં તમામ કચેરીઓમાં સ્વચ્છતા શપથ પણ લેવડાવાશે.

કલીન ઇન્ડીયા કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે અને તેનો પૂનરાવર્તિત, પૂન: ઉપયોગ અને વપરાશ ઘટાડવા અંગે જનજાગૃતિ કેળવવામાં આવશે તેમ પણ શ્રી જિતુભાઇ વાઘાણીએ ઉમેર્યુ હતું.

પ્રવકતા મંત્રીશ્રીઓએ કહ્યું કે, આ જનભાગીદારી ઝૂંબેશ અન્વયે ગામડા, નગરો, મહાનગરોમાં પરંપરાગત જળસ્ત્રોતોની જાળવણી માટે પાણીની ટાંકીઓ, કૂવાઓ જળાશયોની સફાઇ હાથ ધરાવાની છે.

આ કલીન ઇન્ડીયા કાર્યક્રમમાં ગામડાઓના બ્યૂટિફિકેશનના કામો પણ લોકભાગીદારી પ્રેરિત કરીને હાથ ધરવામાં આવશે.
તદઅનુસાર, સ્મારકો, ધરોહર સ્થળો, સમુદાય કેન્દ્રો, શાળા, પંચાયત વગેરેની ઇમારતોની જાળવણી અને બ્યૂટિફિકેશનના કામો હાથ ધરાશે.

શિક્ષણ મંત્રીશ્રીએ સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ નો જે એકશન પ્લાન ભારત સરકારે ઘડયો છે તેમાં સસ્ટેઇનેબલ સેનિટેશન, ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર, સસ્ટેઇનેબલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, કેપેસિટી બિલ્ડીંગ તેમજ સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી એક જનઆંદોલનના રૂપમાં વિસ્તારવાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં આ એકશન પ્લાન મુજબ સ્વચ્છતાના કામો વિશાળ પાયે હાથ ધરવાના આયોજનની વિસ્તૃત ચર્ચા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં હાથ ધરાઇ હતી તેમ તેમણે ઉમેર્યુ હતું.
તા. ૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘અમૃત ૨.૦ મિશન’ નો પણ દેશભરમાં શુભારંભ કરવાના છે. ગુજરાત રાજ્ય ‘અમૃત ૧.૦ મિશન’ માં ૮૦.૭૫ ગુણાંક સાથે ત્રીજા ક્રમાંકે રહ્યું છે. જે ગુજરાત સરકારની શહેરી વિકાસની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

‘અમૃત ૨.૦’ યોજનાનો હવે પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ યોજના અંતર્ગત ગુજરાતના ૩૧ અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો અને રાજ્યના તમામ શહેરોમાં પાણી પુરવઠાના કામો કરવામાં આવશે, તેની વિગતો તેમણે આપી હતી.
‘અમૃત ૨.૦ મિશન’ હેઠળ તમામ અર્બન લોકલ બોડી (શહેરી સત્તામંડળ) અંતર્ગત આવતા ઘરોને નળથી પાણી આપવા, ૩૧ અમૃત શહેરોમાં ઘરોને સુએજ/સેપ્ટેજ કનેક્શન આપવા, જળાશય અને કુવાઓનો જીર્ણોદ્ધાર ઉપરાંત વોટર સિક્યુરિટી, અર્બન પ્લાનિંગ અને માર્કેટ ફાઇનાન્સ મોબિલાઇઝેશન જેવા રિફોર્મ લાગુ કરવામાં આવશે.

સમગ્ર ‘અમૃત ૨.૦ મિશન’ પેપરલેસ અને ડિજિટલ રહેશે. શહેરી સત્તામંડળો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા ઊભી કરવા માટે અમૃત સિટિઝનો ‘પે જલ સર્વેક્ષણ’ કરવામાં આવશે. જળ સંરક્ષણ માટે જનઆંદોલન ઊભું કરાશે. ‘અમૃત ૨.૦ મિશન’ અંતર્ગત વિવિધ કામો કરવા લોકલ અને ગ્લોબલ ઇનોવેટિવ ટેકનોલોજી ધરાવતા સ્ટાર્ટ અપ સાથે ભાગીદારી પણ કરવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘અમૃત મિશન’ દ્વારા દેશના શહેરી વિકાસને નવી દિશા આપી છે. આ મિશન અંતર્ગત શહેરોમાં પાણી પુરવઠા, સુએજ વ્યવસ્થાપન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, બગીચા-પાર્ક અને જાહેર પરિવહન ક્ષેત્રે વિકાસની નવી પરિપાટી ઘડાઇ છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રીશ્રીના ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના મંત્રને સાકાર કરવા અને ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ પરિવારોની આર્થિક સ્થિતિને સક્ષમ બનાવવા ગુજરાતમાં આ વર્ષે ગાંધીજયંતિ ર ઓકટોબરથી ૩૧ ઓકટોબર દરમ્યાન ર૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય (રિબેટ) અપાશે.

તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ખાદી ઉત્પાદન અને પોલિવસ્ત્ર ઉત્પાદન સહિતની ખાદી કામગીરી સાથે જોડાયેલા અંદાજે ૧ર હજાર જેટલા કારીગરોને આના પરિણામે આર્થિક આવક વૃદ્ધિનો લાભ મળશે.

આમ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં સમગ્રતયા ઓકટોબર માસ દરમ્યાન ગુજરાતમાં સ્વચ્છતા સફાઇ, જનસુખાકારીના કામો અને અંત્યોદય, ગરીબના આર્થિક વિકાસ કામોને જનભાગીદારીથી પ્રેરિત કરીને રાજ્યવ્યાપી અભિયાનો હાથ ધરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.