ખેડબ્રહ્મા કોલેજમાં સંસ્કૃત મહોત્સવ વિશે સેમિનાર યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ડી.ડી.ઠાકર આર્ટ્સ એન્ડ કે.જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્માના સંસ્કૃત વિભાગના ઉપક્રમે તા.૧૬.ર.ર૦રરને બુધવારના રોજ સંસ્કૃત સેવા સંવર્ધન અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથ દ્વારા ‘સંસ્કૃત ભાષાનું મહત્વ અને સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથનો પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના વેદ-વેદાંગ વિભાગના ડીન શ્રી ડો. શત્રુધ્ન પાણિગ્રાહી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી આજના સમયમાં સંસ્કૃત ભાષાના મહત્વ વિષે અને સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો વિશેષ પરિચય કરાવ્યો હતો.
આ પ્રસંગે જયેશભાઈ જાેશી, આચાર્ય (નૂતન ફેલોશિપ હાઈસ્કૂલ) ઉપસ્થીત રહી પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ યુનિવર્સિટી ગીતથી થયો હતો. સંસ્થાના આચાર્ય ડો. વી.સી. નિનામાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને સંસ્કૃત ભાષાના મહત્વ વિશે સમજાવ્યું હતું.
પ્રસંગને અનુરૂપ આ કાર્યક્રમમાં ડો. હીનાબેન ભોજક તેમજ પી.આર. ગજ્જર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. કે.ડી. પટેલ તથા આભારદર્શન ડો. ડી.બી. સોંદરવાએ કર્યું હતું. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત થયું હતું.*