Western Times News

Gujarati News

ખેડા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના હસ્તે રોપાઓનું વિતરણ કરાયું ચાલુ સાલે ૭૫ જેટલી નર્સરીઓમાંથી ૩૬ લાખ રોપાઓનું વિતરણ કરવાનું આયોજન

ગુજરાત રાજયમાં વરસો વરસની પરંપરા મુજબ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે . ખેડા જિલ્લામાં પણ ૭૧ મા વન મહોત્સવની સામાજીક વનીકરણ વિભાગ , નડિયાદ દ્વારા જિલ્લા કક્ષાએ , તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવનાર છે . વન મહોત્સવની ઉજવણી અગાઉ આજે કમળા સો મીલ એસોશીએશન અને જિલ્લા વન વિભાગ દ્વારા રોપાઓના વિતરણનો શુભારંભ જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના હસ્તે આવ્યો હતો . આ પ્રસંગે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલએ જણાવ્યું હતું કે , પર્યાવરણનો હેતુ જળવાઇ રહે તે માટે દર વર્ષે વન વિભાગ અને નડિયાદ સો મીલ એસોશીએશન દ્વારા મફત રોપાઓનું વિતરણ કરવામાં આવે છે .

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ૭૫ જેટલી નર્સરીમાં ૩ ૬ લાખ જેટલા રોપાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે . આ રોપાઓનો ઉછેર જિલ્લાના ખેડૂત મિત્રો , વિવિધ સંસ્થાઓ , સ્કૂલ તેમજ કેમ્પસમાં કરવામાં આવનાર છે . જેથી પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થવાય અને જિલ્લામાં ગ્રીનરી વધે . વન મહોત્સવની કામગીરી દરમ્યાન જુદી – જુદી ખાતાકીય નર્સરીઓમાં તથા વ્યકિતગત લાભાર્થીઓની નર્સરીમાં ( ડી.સી.પી. નર્સરી / એસ.એચ.જી.નર્સરી , જુદી – જુદી પોલીથીન બેગ સાઇઝમાં સ્થાનિક લોકોની જરૂરીયાત મુજબના જુદી જુદી જાતના રોપાઓ ઉછેરવામાં આવે છે . જેમાં સરકારના ધારાધોરણ મુજબ મુલ્યથી તેમજ વિના મુલ્ય રોપાઓનું વિતરણ કરવામાં આવે છે .

ચાલુ સાલે ખાતાકીય વન મહોત્સવ હેઠળ ૨૪.૮૦ લાખ તેમજ વ્યકિતગત લાભાર્થીને યોજના હેઠળ ડી.સી.પી. નર્સરી તેમજ એસ.એચ.જી ગૃપ નર્સરીમાં ૧૧.૫૦ લાખ રોપાઓ ઉછેરવામાં આવેલ છે . નર્સરીઓમાં પર આંબા , આમળા , અરડુસા , અર્જુનસાદડ , આસોપાલવ , બીલી , બોરસલ્લી , દેશીબાવળ , જાંબુ , કણજી , કોઠી , નીલગીરી , પેલ્ટોફોમ , રેઇન ટ્રી , સાદડ , સરગવો , સીતાફળ , સેવન , વાંસ , પલપલીયા , ઉમરો , તુલસી સુશોભન અંગેના ફુલછોડ તેમજ વિવિધ જાતના સ્થાનીક જરૂરીયાત મુજબના રોપાઓનો તેમજ આર્યુવેદીક રોપાઓનો ઉછેર કરવામાં આવે છે .

ચાલુ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણના કારણે ફેલાયેલ રોગચાળા સામે લોકોની રોગ પ્રતિકારક શકિત વધે તે હેતુથી વન વિભાગ દ્વારા તુલસીના ૩.૫૦ લાખ જેટલા રોપાઓનું પણ વિતરણ કરવામાં આવનાર છે . આ રોપાઓનું શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વૃક્ષરથ દ્વારા પણ રોપાઓનું વિના મુલ્ય વિતરણ કરવામાં આવે છે . વન વિભાગ દ્વારા લોકોને વૃક્ષ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ આર્થિક રીતે પગભર થઇ શકે તે હેતુથી વ્યકિતગત લાભાર્થી યોજના હેઠળ નર્સરીઓની ફાળવણી કરી રોપાઓ ઉછેરવામાં આવે છે .

આવી કુલ ૬૦ નર્સરીઓમાં ૧૧.૫૦ લાખ રોપાઓ ઉછેરવામાં આવેલ છે . જેનું જે તે લાભાર્થી દ્વારા તેમની કક્ષાએ રોપ વિતરણ કરવામાં આવનાર છે . નડિયાદ સો મીલ એસોશીએશન દ્વારા છ કેન્દ્રો પરથી દર વર્ષે લગભગ બે લાખ જેટલા રોપાઓનું વિના મુલ્ય વિતરણ કરવામાં આવે છે . નડિયાદ સો મીલ એસોશીએશન દ્વારા છેલ્લા પચ્ચીસ વર્ષથી વિના મૂલ્ય રોપાઓના વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે .

છેલ્લા કેટલાક વર્ષોથી એગ્રો ફોરેસ્ટ્રી તેમજ ફાર્મ ફોરેસ્ટ્રીનો અભિગમ વધ્યો છે . આપણા ખેડા જિલ્લામાં પ્રતિ હેકટરે ૫૦ થી વધુ વૃક્ષો આવેલા છે . આ કાર્યક્રમમાં જિલ્લા વન અધિકારી ડી.ટી.કરુપ્યાસામી , નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા , મદદનીશ વન સંરક્ષક એન.એસ.પટેલ , આર.એફ.ઓ. , નડિયાદ સો મીલ એસોશીએશનના પરષોત્તમભાઇ દાસ તથા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.  (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.